રુપાણી સરકારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ગુજરાતી સમાજ ભવનના નિર્માણ માટે 40 લાખ રુપિયાની સહાય મંજૂર કરી છે ત્યારે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના હેઠળ આ સહાય મંજૂર કરાઇ છે. અત્યાર સુધી દેશભરના કુલ 16 ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે 1.69 કરોડ રુપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે.
મંત્રી જાડેજાએ જણાવ્યું કે અન્ય રાજ્યમાં આવેલ ગુજરાતી સમાજ ભવન ના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 40 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 10.00 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.