ભાવિની વસાણી @ મંતવ્ય ન્યૂઝ
રાજકોટમાં ડેટા ચોરી માટે ચીટર વીમા કંપનીઓની માયાજાળ
બાળકોના સામાન્ય જ્ઞાનની કસોટીના બહાને વાલીઓને શીશામાં ઉતારવા માટેનું કાવતરુ
માતા અથવા પિતા વગરના બાળકો વિજેતા બનવા છતાં ચીટર વીમા કંપનીઓનો પ્રોત્સાહન ઇનામ માટે નનૈયો
માત્ર વીમા કંપનીઓ જ નહીં ઘણી બધી કંપનીઓ પોતાની પ્રોડક્ટને માર્કેટિંગ માટે દંપતીઓને સજોડે બોલાવે છે
રાજકોટમાં કોરોના કાળ અંતર્ગત અડધો ડઝન કરતાં વધારે વીમા કંપનીઓ રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તેની માયાજાળ ફેલાવવા માટે ઉતરી પડી છે. જેઓ પોતાની કંપનીનું પ્રમોશન કરવા માટે નિર્દોષ બાળકોની અને માતાપિતાની લાગણી સાથે રમત રમે છે. રાજકોટમાં શેરીએ-ગલીએ ફરીને 10 વર્ષ કરતા નાના બાળકો હોય તેમના વાલીઓના મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી તેમજ આવકના ડેટા એકત્ર કરવા અનોખો કીમિયો આ કંપનીઓએ શોધી કાઢ્યો છે. બાળકોની સામાન્ય જ્ઞાનની પરીક્ષાના બહાને વિજેતા બાળકના માતા-પિતાને શીશામાં ઉતારવાનું કાવતરું આ લૂંટરી વીમા કંપનીઓએ ઘડી કાઢયું છે. પરંતુ જો સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં વિજેતા થનાર બાળકના માતા અથવા પિતા ન હોય તો તેમને વિજેતા થવા છતાં કોઈ જ ઇનામ આપવામાં આવતું નથી.આવા સંજોગોમાં બાળમાનસ પર વિપરીત અસર થઈ હોવાના કિસ્સાઓ શહેરમાં જોવા મળી રહ્યા છે.
આ રીતે રાજકોટમાં પિતા વગરના એક બાળકને બે-બે કંપનીઓ દ્વારા સામાન્ય જ્ઞાન પરીક્ષામાં વિજેતા થવા છતાં પ્રોત્સાહક ઇનામ માટે નનૈયો ભણી દેવામાં આવે છે. અને આ બાળકના બાળમાનસ પર અસર થાય છે કે મારે પિતા નથી માટે હું વિજેતા ન બનું ?આ ચિટર કંપનીઓ તરફથી કોલ કરનાર વ્યક્તિ જ્યારે માતા અથવા પિતાને સજોડે નિર્ધારીત સ્થળ ઇનામ લેવા માટે આવવાનું જણાવે છે ત્યારે જો તેમને ખબર પડે કે બાળકને માતા અથવા પિતાએ બે માંથી એક નથી, ત્યારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે કે તેમને માતા અને પિતા બંને હોય તો જ પ્રોત્સાહન ઇનામ લેવા માટે આમંત્રણ પાઠવવા માટે કંપની તરફથી સૂચન પ્રાપ્ત થયેલ છે. માટે આ વખતે અમે તમને બોલાવી શકીશું નહીં. અને આ રીતે નિર્દોષ બાળક અને વાલીઓની લાગણી સાથે રમત રમવામાં આવી રહી છે.
કઈ રીતે વાલીઓને શીશામાં ઉતારવા યોજના કામ કરે છે ?
રાજકોટના તમામ વિસ્તારોમાં રહેતા 10 વર્ષથી નાની ઉંમરના બાળકોની સામાન્ય જ્ઞાનની પરીક્ષાના પેપર તેમના ઘરે પહોંચાડવા માટે યુવક અથવા યુવતી આવે છે.
આ પેપર લખ્યા બાદ એક કલાકની અંદર જે -તે કંપનીમાં કામ કરતા યુવક કે યુવતી પરત લેવા આવે છે.
સામાન્ય જ્ઞાનના પેપરની અંદર માતા-પિતાના અંગત ડેટા મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, વાર્ષિક આવક વગેરેની વિગતો પણ ભરવાની હોય છે.
એક અઠવાડિયા બાદ કંપની તરફથી બાળક વિજેતા થયા હોવા અંગે વાલીઓને કંપનીના કર્મચારીઓ દ્વારા ફોન કરવામાં આવે છે.
રાજકોટના વિવિધ વિસ્તારોના બાળકમાંથી તમારું બાળક તેજસ્વી હોય અમે સિલેક્ટ કર્યું છે અને એકથી ત્રણમાં નંબર આવ્યો હોવાનું જણાવવામાં આવે છે.
ઇનામ લેવા માટે માતા અને પિતા એ બંનેએ આવવાનું હોય છે તો તમે આવી શકશો ને તેવું પૂછવામાં આવે છે.
આ ઇનામ લેવા માટે સજોડે જવાનું અને નાસ્તો અથવા તો જમણવાર સાથે લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.
જો માતા અથવા પિતા કંપનીના કર્મચારીને ફોન પર સાચી વિગતો જણાવે અને તેઓ સિંગલ હોયતો બાળક વિજેતા હોય તોપણ તેને કોઈ જ પ્રકારનું પ્રોત્સાહન ઇનામ પ્રાપ્ત થતું નથી. તેમને ફરી ક્યારેક બોલાવવામાં આવશે તેવું કહેવામાં આવે છે.
વિજેતા બાળકોના માતા-પિતાને સજોડે આમંત્રિત કરીને કંપનીની વિમાની વિવિધ યોજનાઓ વિશે સમજ આપવામાં આવે છે.
મારા બાળકને બે-બે વખત વિજેતા થવા છતાં કંપનીઓએ ઇનામ આપવા કર્યો ઇનકાર : વિધવા માતાની વ્યથા
હું રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા વિસ્તારમાં રહું છું, આશરે એક-દોઢ મહિના પહેલા એક કંપની દ્વારા સામાન્ય જ્ઞાનની પરીક્ષા માટેના પેપર અમારી આખી શેરીમાં વેચવામાં આવ્યા હતા. મારા નવ વર્ષના દીકરાએ અન્ય બાળકોની સાથે ઉત્સાહપૂર્વક સામાન્ય જ્ઞાનની પરીક્ષા આપી હતી. શેરીના સાત-આઠ બાળકોમાંથી ત્રણ ચાર બાળકો આ પરીક્ષામાં સિલેક્ટ થયા હતા. મારી જેમ અન્ય વાલીઓને પણ ફોન પર એવું જણાવવામાં આવ્યું હતું કે તમારું બાળક વિજેતા થયું છે.
રાજકોટના અલગ-અલગ વિસ્તારના 50 બાળકોમાંથી તમારા બાળકને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. બાળકને કુલ ત્રણ ઇનામ આપવામાં આવશે એક સર્ટિફિકેટ, બીજુ હેલ્થ કાર્ડ જેમાં સમગ્ર પરિવારને ફ્રી ચેકઅપ તેમજ ત્રીજુ બાળકને ભવિષ્યમાં અભ્યાસ માટે સ્કોલરશિપ. અને આ લેવા માટે અમને સજોડે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું પરંતુ મારા પતિનું અવસાન થયું છે. એ હકીકત કંપનીના કર્મચારીને ફોન પર જણાવી ત્યારે કહ્યું કે અમારે તો દંપતીને જ આમંત્રિત કરવાના છે.
મેં જ્યારે જણાવ્યું કે બાળકના પિતા નથી તો બાળક વિજેતા ન બની શકે ? ત્યારે કર્મચારીએ જવાબ આપ્યો કે તમારું બાળક તો વિજેતા છે જ પરંતુ અમારી કંપની નો નિયમ છે કે માતા અને પિતા બંને હોય તો જ તેમને આમંત્રણ પાઠવવામાં આવે. ત્યારે મેં કંપનીના કર્મચારીને જણાવ્યું હતું કે આ તમારી પદ્ધતિ યોગ્ય નથી. આ ઘટનાને કારણે મારા દીકરાને ખૂબ જ નિરાશા થઇ હતી અને દીકરાએ મને પૂછ્યું કે “મમ્મી પપ્પા નથી તો હું શા માટે વિજેતા ન બની શકું ?” આ ઘટનાના કારણે મને પણ ખૂબ જ દુઃખ થયું હતું.
ફરી એક વખત 10-12 દિવસ પહેલા બીજી કંપની દ્વારા સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. આ વખતે જે યુવતી પેપર લઈને આવી હતી તેને કહ્યું હતું કે હું સિંગલ મધર છું. એ જ રીતે બે દિવસ અગાઉ કંપનીમાંથી ફોન આવે છે મારું બાળક વિજેતા થાય છે અને ફરીથી એ જ રીતે મારા દીકરાને અન્યય છે. આવી કંપનીઓ ઇનામ આપે તો મને કોઈ ફરક નથી પડતો પરંતુ મારા બાળકના માનસ પર અસર પડી રહી છે જે યોગ્ય ન કહી શકાય.
માત્ર વીમા કંપનીઓ જ નહીં ઘણી બધી કંપનીઓ પોતાની પ્રોડક્ટને માર્કેટિંગ માટે દંપતીઓને સજોડે બોલાવે છે.
પોતાની કંપનીનું માર્કેટિંગ કરવા માટે માત્ર વીમા કંપનીઓ જ નહીં પરંતુ અલગ-અલગ પ્રોડક્ટની કંપનીઓ એ પ્રકારના કીમિયાઓ અજમાવતી હોય છે કે જેમાં દંપતિને સજોડે શહેરની મોટી હોટલમાં જમણવાર માટે આમંત્રિત કરવામાં આવે છે. જો પતિ અથવા પત્ની બેમાંથી કોઈ નોકરી કરતા હોય તો બંને સાથે જઈ શકે નહીં ત્યારે ઘરના અન્ય સભ્યોને લઈને આવવા માટે આ કંપનીઓ દ્વારા ઈન્કાર કરવામાં આવે છે. અને આ રીતે ઘણા બધા દંપતીઓ સાથે બન્યું હોવાનું જાણવા મળે છે. એટલે સુધી કે આ કંપનીઓ નિર્ધારિત સ્થળ પર જમણવાર માટે બોલાવે ત્યારે કોઈ વ્યક્તિ ન પહોંચે તો તેને વારંવાર ફોન કરે છે કે તમે પહોંચો છો ને ? અને પહોંચ્યા બાદ આવેલા દંપતીને પોતાની કંપનીની આવનારી પ્રોડક્ટ અથવા તો પોલિસી વિશે જણાવવામાં આવે છે. આવી ફૂટી નીકળેલી કંપનીઓની સ્કીમ સામે જનતાએ ચેતવા જેવું છે. માટે મહેરબાની કરીને આવી ચીટર કંપનીઓની જાળમાં ફસાતા નહીં.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…