રાજસ્થાનમાં ઉદયપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર થયેલો બ્લાસ્ટ આતંકવાદી કૃત્ય હતો. રાજસ્થાન પોલીસે તેની FIRમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ મામલામાં રાજસ્થાન પોલીસે FIRમાં આતંકવાદી ષડયંત્ર સંબંધિત કલમો નોંધી છે. રાજસ્થાન પોલીસને તેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર થયેલો બ્લાસ્ટ આતંકવાદી હુમલો હતો. આ હુમલા બાદ ટ્રેક તૂટી ગયો હતો. જો આ તૂટેલા ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.
અમદાવાદ ઉદેપુર અસારવા ટ્રેન નંબર 19703 અને 19704 દરરોજ આ ટ્રેક પરથી પસાર થાય છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 દિવસ પહેલા જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટનો હેતુ લોકોમાં ભય ફેલાવવાનો હતો.
આ ઘટના ઉદયપુરથી લગભગ 35 કિમી દૂર સલામ્બુર રોડ પર બનેલા ઓઢા રેલવે બ્રિજની છે. એફઆઈઆરની નકલ અનુસાર, શનિવારે સાંજે 7.15 વાગ્યે, ઓઢા ગામના લોકોએ જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો. રાત્રીના બ્લાસ્ટનો અવાજ સાંભળીને ગ્રામજનો અચંબામાં પડી ગયા હતા. આ પછી, જ્યારે લોકોનું એક જૂથ ત્યાં પહોંચ્યું, ત્યારે તેઓ તૂટેલા રેલવે ટ્રેક, વિસ્ફોટકો અને સ્ટીલના ટુકડા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
રાજસ્થાન પોલીસે એફઆઈઆરમાં બોમ્બ બ્લાસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો છે અને કહ્યું છે કે આ બ્લાસ્ટનો હેતુ લોકોમાં ડર પેદા કરીને દેશની સુરક્ષાને જોખમમાં નાખવાનો હતો. આ કેસમાં રાજસ્થાન પોલીસે UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ કેસ નોંધ્યો છે. આ કાયદાની કલમ 16 (આતંકવાદી કૃત્ય માટે સજા) અને કલમ 18 (આતંકવાદી કૃત્ય કરવા અથવા ઇરાદો) હેઠળ અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને આઈપીસીની કલમ 150, 151 અને 285 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.