ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને 10 નવેમ્બરની સવારે 160 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. ભાજપે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોનાં નામની જાહેરાત એકસાથે કરી દીધી હતી. જ્યારે 22 બેઠકો પર નામ જાહેર કર્યા નથી. આ બેઠકો પર આંતરિક વિખવાદ , જાતિ સમીકરણ સહિતના મુદ્દાઓ હોવાથી હાલ નામ જાહેર કર્યા નથી. આ 22 બેઠકો પૈકી રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૈાહાણની પણ બેઠક છે. મહેમદાવાદની આ બેઠક પર આંતરિક વિખવાદ અને પ્રજામાં ભારે નારાજગી હોવાથી આ બેઠક હાલ હોલ્ડ પર રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અર્જુનસિંહ ચૌહાણ પર એક મહિલાએ દુષ્કર્મનો આક્ષેપ પણ લગાવ્યો હતાે. આ મુદ્દાને લઈને મહેમદાવાદનું રાજકારણ પણ ગરમાયું છે. બીજી તરફ, સ્થાનિક સૂત્રોની વાત માનીએ તો નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ અને ખેડા જિલ્લા પ્રમુખ તથા કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વચ્ચે મતભેદો પણ ચરમસીમા પર પહોંચ્યા હોવાનું બહાર આવ્યું છે. . આંતરિક જૂથબંધી ખેડા જિલ્લામાં વધતી જઈ રહી છે, ત્યારે ભાજપ આ બેઠક ગુમાવવા ન માગતો હોય તેમ લાગે છે અને આ જ કારણસર મહેમદાવાદ બેઠક માટે ઉમેદવારના નામની હજુ ચર્ચાવિચારણા હેઠળ હોય એમ લાગે છે.