Graduation Ceremony: દેશની ભાવિ પેઢીઓ માટેના ઉત્કૃષ્ટ શિક્ષકોના નિર્માણ માટે કટિબદ્ધ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (આઈ.આઈ.ટી.ઈ.)નો પાંચમો અને બાળસંભાળ, શિશુશિક્ષણ અને શાળાશિક્ષણ ક્ષેત્રે કાર્યરત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ 29 ઓક્ટોબર, શનિવાર લાભપાંચમના શુભ દિને સાંજે 6 કલાકે આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગરના પ્રાંગણમાં યોજાશે.
ગુજરાતના રાજ્યપાલ અને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાનારા આ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અતિથિ વિશેષ તરીકે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણરાજયમંત્રી કુબેર ડીંડોરની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપિત બંને યુનિવર્સિટીઓના સંયુક્ત પદવીદાન સમારોહમાં આઈઆઈટીઈના સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમોના 2534 ઉત્તીર્ણ વિધાર્થીઓને અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા, પીએચ.ડી સહિત 112 વિધાર્થીઓ એમ કુલ 2666 વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યની અન્ય યુનિવર્સિટીના કુલપતિઓ, આમંત્રિતો, બંને યુનિવર્સિટીના વિવિધ વૈધાનિક મંડળોના સભ્યશ્રીઓ, દાતાઓ, અધ્યાપક તેમજ આચાર્ય ઉપસ્થિત રહી સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે.
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલ સર્વે સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી પદવીધારકો તેમજ આમંત્રિતોનું અભિવાદન કરશે.
આ પણ વાંચો: Accident/ મોરબીમાં મિની ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત,9 ઇજાગ્રસ્ત
