Kutch News: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે સમાજને અરીસો બતાવતા જણાવ્યું હતું કે પાટીદારોમાં ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’નો ટ્રેન્ડ ઘાતક છે. કચ્છના નખત્રાણા સમાજના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે દરેક પાટીદાર કુટુંબે ત્રણથી ચાર બાળકને જન્મ આપવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે વન ચાઇલ્ડની નીતિને અનુસરવાના કારણે ધીમે-ધીમે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યુ છે. સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત પણ ઘટશે. રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત પણ ઘટશે. સંખ્યાબળ ઘટશે તો તમારા અસ્તિત્વ માટે લડવું પડશે.
તેમણે જણાવ્યું હતું કે પાટીદારોમાં ભૃણહત્યાનું અગાઉ ચલણ હતુ જે હવે રહ્યું નથી. જો વન ચાઇલ્ડની પોલિસીને છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાકા અન મામા ભાડે મળે છે તેવા બોર્ડ લાગશે. વસ્તીમાં ઘટાડાનું પરિણામ જોવું હોય તો કાશ્મીર જુઓ. કાશ્મીરમાં ફક્ત વસ્તીના જોરે સ્થિતિ ફેરવી નાખવામાં આવતા કાશ્મીરી પંડિતોએ પોતાના વતનમાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. આ જ સ્થિતિ આજે બંગાળની છે અને આવતીકાલે કેરળની થશે, કારણ કે કેરળમાં હિંદુઓની સંખ્યા 50 ટકાએ પહોંચી ગઈ છે. આજે દેશના જે-જે રાજ્યમાં હિંદુ ઘટ્યા છે ત્યાં આતંકવાદ, નક્સલવાદ, સાંપ્રદાયિક હિંસા જેવી સ્થિતિઓ સર્જાઈ છે. હિંદુઓનું ઘટવું હિંદુસ્તાન માટે ભયજનક સંકેત છે, દેશની લોકશાહી માટે ભયજનક સંકેત છે. હિંદુઓ છે તે હિંદુસ્તાન છે અને લોકશાહી છે.
આથી પાટીદારોની વર્તમાન પેઢીની ફરજ છે કે તે વર્તમાન સ્થિતિને સમજે, હિંદુ સમાજના પાયા મજબૂત રાખવામાં સંતાનના સ્વરૂપમાં પ્રદાન કરે, જે હિંદુ સંસ્કૃતિને જાળવી રાખવામાં મદદ કરે. સરદાર વલ્લભભાઈ પટેલે આપણને દેશને એક તાંતણે ગૂંથીને સોંપ્યો, હવે તેના એક-એક તાંતણા જાળવવાની આપણી જવાબદારી છે.
આ પણ વાંચો: ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ
આ પણ વાંચો: ભાવનગરના કાળાતળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર નિર્દય હુમલો, પાટીદાર સમાજમાં આક્રોશ, સુરતથી 100 કારનો કાફલો રવાના
આ પણ વાંચો: મોરબીમાં દાંડિયા ક્લાસમાં દૂષણ સામે પાટીદારોમાં પ્રચંડ આક્રોશ
