Rajkot News : રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા હોલ નં. 1 ખાતે તા. 10 થી 15 જાન્યુઆરી 2025 દરમિયાન ‘સૌરાષ્ટ્ર–કચ્છની ધરોહર’ થીમ આધારિત વિશેષ પેવેલિયન (Pavilion)નું આયોજન કરવામાં આવ્યું છે. આ થીમ પેવેલિયન સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર, ઐતિહાસિક વારસા, કુદરતી સૌંદર્ય અને પ્રવાસન વૈવિધ્યને રજૂ કરી મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ પેવેલિયન (Pavilion) માં ગીર નૅશનલ પાર્ક, સોમનાથ મંદિર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ધોળાવીરા, કચ્છનું રણ, સહિત સૌરાષ્ટ્ર–કચ્છનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળોની પ્રતિકૃતિઓ અને દૃશ્ય રજૂઆતો દ્વારા પ્રદેશના પ્રવાસન વૈવિધ્યને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યું છે.
પ્રદર્શનની વિશેષ ઓળખ તરીકે કચ્છી અને સૌરાષ્ટ્ર આધારિત હસ્તકલા તથા કલાનાં જીવંત પ્રદર્શન (Live Demonstrations) યોજાઈ રહ્યા છે. આ જીવંત પ્રદર્શન સરકારની ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ અભિયાનની દૃષ્ટિ સાથે સુસંગત છે, જેના માધ્યમથી પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કચ્છી ભરતકામ, રોગન આર્ટ, અજરખ કલા, બાંધણી, ધાતુકલા, માટીકામ જેવી હસ્તકલાઓનું કારીગરો દ્વારા સ્થળ પર જીવંત પ્રદર્શન થવાથી કલાકારોને ઉત્સાહ મળે છે તેમજ તેમને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઓળખ અને મંચ પ્રાપ્ત થઈ રહ્યો છે.

હસ્તકલા વસ્તુઓનું વિશેષ પ્રદર્શન પણ થીમ પેવેલિયન (Pavilion) નું મુખ્ય આકર્ષણ બન્યું
આ સાથે ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની GI ટૅગ પ્રાપ્ત હસ્તકલા વસ્તુઓનું વિશેષ પ્રદર્શન પણ થીમ પેવેલિયન (Pavilion) નું મુખ્ય આકર્ષણ બન્યું છે. -આ પ્રદર્શન દ્વારા પ્રદેશની અનોખી કળાત્મક ઓળખને ઉજાગર કરી હસ્તકલા ક્ષેત્રને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પેવેલિયન (Pavilion) માં માહિતી ડેસ્ક દ્વારા પ્રવાસન બ્રોશર, બુકલેટ્સ, ડેસ્ટિનેશન મેપ્સ તેમજ થીમ આધારિત પ્રવાસન માર્ગદર્શિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના માધ્યમથી રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની વિસ્તૃત માહિતી મુલાકાતીઓને પ્રાપ્ત થઈ રહી છે.

ગુજરાતભરમાંથી પ્રવાસનને આકર્ષવા તેમજ વિવિધ ઉદ્યોગક્ષેત્રો સાથે પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વિસ્તરે તે હેતુસર આ થીમ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રવાસન પ્રચાર અને પ્રસારને વ્યાપક સ્તરે તથા દરેક ક્ષેત્ર સુધી પહોંચાડવા માટે ગુજરાત પ્રવાસન વિભાગ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યું છે.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ‘Explore & Experience Gujarat’ના સંદેશને વધુ વ્યાપક બનાવવા માટે પરંપરાગત વારસો, જીવંત કલા અને આધુનિક રજૂઆતનું સંયોજન આ પેવેલિયન (Pavilion) માં સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્ર–કચ્છના પ્રવાસન સાથે સાથે સ્થાનિક કારીગરો અને હસ્તકલા ક્ષેત્રને નવી દિશા અને નવી ઊંચાઈ આપવાનું કાર્ય કરી રહ્યું છે.
આ પણ વાંચો: હર્ષ સંઘવીનો રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ
આ પણ વાંચો: ભીંડા ઉત્પાદનમાં ગુજરાતે દેશને પાછળ છોડી દીધો, સૌરાષ્ટ્ર-કચ્છે 14 હજાર હેક્ટરમાં 1.5 લાખ ટન ઉત્પાદન કર્યું
આ પણ વાંચો: ગુજરાતનાં કચ્છ–સૌરાષ્ટ્રના માછીમારીઓ માટે મોટી તક, સીવીડ ખેતી બનશે જીવનનો નવો આધાર
