શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરુર છે.ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પાસે જગતીયા ગામે વર્ષોથી કુદરતી ગેસ નીકળે છે. શેઠ જગડુશાની આ જગ્યા ગેસના ચમત્કારથી તિર્થસ્થાન બન્યું છે. શ્રદ્ધાળુઓ દૂરથી આવી પોતાની માનતા પુરી કરે છે. ગીર ભૂમિ એટલે સંત, સુરા અને ભક્તિની ધરા. આ ધરા પર કોડીનાર પાસેના જગતીયા ગામ પાસે શેઠ જગડુશાની જગ્યાએ કુદરતી ગેસનો પ્રવાહ સતત પ્રજવલિત રહે છે. ગેસનો પ્રવાહ શ્રદ્ધા અને ચમત્કારનું પ્રતિક બન્યો છે.નવાઇની વાત એ છે કે આ અગનજ્યોતથી કોઇ દાઝતુ નથી, જગતીયા ગામનો ઇતિહાસ પણ પ્રેરક અને રોચક છે. તેના નામ પાછળ પણ દંતકથા છે.
જગતીયા ગામે 70 ઇંચ વરસાદમાં પણ અખંડ જ્યોતને કોઇ આંચ આવી ન હતી. અહીં વિજ્ઞાન અને આસ્થાનું સમન્વય અહીં જોવા મળે છે. જગતીયા ગામ ખરેખર આસ્થા અને વિજ્ઞાનનો સમન્વય છે.જે ઇતિહાસ, વિજ્ઞાન અને ભક્તિને સમાવીને તિર્થસ્થાન બન્યું છે.
અહીંની જમીનમાંથી નીકળતા ગેસને સ્ટોરેજ કરી બહાર લઈ જઈ શકાતો નથી.અહીં આ ગેસથી પ્રજ્વલિત અખંડ જ્યોત પણ જોવા મળે છે. જેને હિમાલયમાં આવેલાં જવાલાજી સાથે સરખાવામાં આવે છે. ગીર સોમનાથનાં જગતિયા ગામે આવેલી શેઠ જગડુશાની જગ્યાનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. શેઠ જગડુશાએ કર્ણનો અવતાર હતા.
મહાભારત કાળમાં કર્ણએ સોના ચાંદીનું મબલખ દાન કર્યું હતું. આથી જ કર્ણે દાનેશ્વરી તરીકે ઓળખ મેળવી. કર્ણ જ્યારે સ્વર્ગે સિધાવ્યા ત્યારે સ્વર્ગમાં તેઓને ભોજન માટે સોનાની થાળીમાં હીરા અને ઝવેરાત પીરસવામાં આવ્યું ત્યારે કર્ણે કહ્યું..’આ કેમ જમી શકાય..?’ ત્યારે સ્વર્ગના દેવો દ્વારા કર્ણને કહેવામાં આવ્યું ‘આપે આપનાં જીવનકાળ દરમિયાન માત્ર સોના ચાંદી અને હીરા ઝવેરાતનું જ દાન કર્યું છે. તેથી આપને અહીંયા પણ એ જ મળે.’ ‘હે અંગરાજ કર્ણ આપ ફરી વખત પૃથ્વી પર જાઓ અને અન્નનું દાન કરો.’ આથી બીજા જન્મમાં શેઠ જગડુશા સ્વરૂપે જન્મ્યા અને પુષ્કળ પ્રમાણમાં અનાજનું દાન કર્યું હતું.
એક સમયે કાળો દુકાળ પડ્યો. માનવ અને પશુ પંખી ખોરાક અને પાણી વગર ટળવળવા લાગ્યા ત્યારે શેઠ જગડુશાએ પોતાના અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા. અનાજ ભંડાર પણ ખૂટવા લાગ્યા ત્યારે શેઠ જગડુશાએ હરસિધ્ધિ માતાજીની કઠોર તપસ્યા કરી માતાજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે કર્ણનાં બીજા અવતાર શેઠ જગડુશાએ માતાજી પાસે ‘દરરોજ ગાય ધરાઈને પાછી આવે.’ તેવું વરદાન માગ્યું. માતાજીએ પ્રસન્ન થઈને આ વરદાન આપ્યું. ત્યારથી આજ દિવસ સુધી આ વિસ્તારમાં ક્યારેય દુષ્કાળ પડ્યો નથી.આથી જ આ વિસ્તારને આજે પણ “લીલી નાઘેર” તરીકે ઓળખવામાં આવે છે.
કોડીનારનાં આ જગતિયા ગામે હાલ પણ હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. શેઠ જગડુશાની આ જગ્યામાં માતાજીના આર્શીવાદ સમાન જ્યોત સળગી રહી છે. જમીન માંથી નીકળતો કુદરતી ગેસ સળગે છે જરૂર પણ તેની જ્યોત દઝાડતી નથી. આ જ્યોત પર ચા તેમજ રસોઈ પણ બનાવવામાં આવે છે. આઝાદી પહેલા અંગ્રેજોનાં સમયમાં અનેક અંગ્રેજ અફસરો અને ઇજનેરો અહીં આવ્યા હતા. આ ગેસની તપાસ પણ કરી. આ ગેસનાં સંગ્રહ માટે પ્રયત્નો કરી જોયા પણ ફાવ્યા ન હતા. આઝાદી બાદ ભારત સરકારની કંપની ઓએનજીસીનાં ઇજનેરો પણ અનેક વખત અહીં આવ્યા, સારકામ કર્યું. અહીંથી નીકળતા ગેસને સ્ટોરેજ કર્યો પરંતુ જેવા એ આ જગ્યાની બહાર ગયા કે સ્ટોરેજ કરેલો ગેસ ઉડી ગયો હતો. જે આ જગ્યાનું સત છે તેવું સ્થાનિકો માની રહ્યા છે.
આ પણ વાંચો :રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…
આ પણ વાંચો : વિધાનસભા ગૃહમાં ઉછળ્યો સિંહના મોતનો મુદ્દો, છેલ્લા 2 વર્ષમાં થયા આટલા મોત
આ પણ વાંચો :સાબરકાંઠામાં ગળેફાંસો ખાઈ મહિલાએ ટૂંકાવ્યું જીવન, પોલીસે હાથ ધરી તપાસ
આ પણ વાંચો : જાણો આ વર્ષે ગુજરાત સહિત કયા રાજ્યોમાં યોજાશે ચૂંટણી?