Test series against Australia: ભારતીય ક્રિકેટ ટીમ માટે આ દિવસોમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાના કારણે ટીમની બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે સ્વસ્થ થઈ રહ્યો છે. તે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે, જ્યાં તેણે બોલિંગ પણ શરૂ કરી દીધી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 4 ટેસ્ટ અને 3 વનડે સીરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે.
બીસીસીઆઈએ શ્રેણીની (Test series against Australia) પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. બોર્ડે રોહિત શર્માને કેપ્ટન અને કેએલ રાહુલને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આવી સ્થિતિમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે અને શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ મેચ રમી શકે છે.
(Test series against Australia)29 વર્ષીય બુમરાહે પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પણ તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેમણે તાજેતરમાં NCA ખાતે નેટ્સમાં બોલિંગ શરૂ કરી છે, જેના કારણે તેની વહેલી વાપસીની આશા બંધાઈ ગઈ છે.
હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘હું બુમરાહને લઈને બહુ ચોક્કસ નથી, પરંતુ મને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં રમશે. અમે કોઈ જોખમ લેવા માંગતા નથી કારણ કે પીઠની ઈજા હંમેશા ગંભીર હોય છે. અમે NCAના ફિઝિયો અને ડૉક્ટરોના નિયમિત સંપર્કમાં છીએ. મેડિકલ ટીમ તેને ફિટ થવા માટે પૂરો સમય આપશે.