વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે. કોરોનાની ત્રીજી લહેરને કારણે સંસદના બજેટ સત્રની કાર્યવાહી બે પાળીમાં ચાલી રહી છે. રાજ્યસભાની કાર્યવાહી સવારે 10 વાગ્યે શરૂ થાય છે, જ્યારે લોકસભાની કાર્યવાહી સાંજે શરૂ થાય છે.
સંસદીય બાબતોની કેન્દ્રીય સમિતિએ સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી બોલાવવાની ભલામણ કરી છે.
સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને ગૃહોના સભ્યોને સંબોધન સાથે થઈ હતી. સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. 12 ફેબ્રુઆરીથી એક મહિનાની રજા રહેશે અને બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે, જે 8 એપ્રિલ સુધી ચાલશે. દરમિયાન યુપી સહિત પાંચ રાજ્યો માટે ચૂંટણી યોજાશે અને પરિણામો આવશે. તેની અસર બીજા તબક્કામાં જોવા મળશે.