સુરત શહરેમાં પતંગનો ઉત્સવ એટલે કે ઉત્તરાયણ ભારે ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વખતે પણ સુરતના વેપારીઓએ પુરતી તૈયારીઓ કરી લીધી હતી પરંતુ આ વખતે પણ ગયા વર્ષની સરખામણીએ ઘરાકી ઓછી જોવા મળતા વેપારીઓની પરેશાની વધી છે. જોકે આવનારા ત્રણ દીવસમાં સારી ઘરાકીની આશા વેપારીઓ રાખી રહ્યા છે.
સુરતના ભાગળ વિસ્તારને અડીને આવેલો ડબગરવાડ વિસ્તાર જ્યાં વર્ષોથી રહેતા પરિવારો પતંગ અને સુરતી માંજાનો વ્યવસાય કરે છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણનો પર્વ આવે એટલે ડબગરવાડમાં ગ્રાહકોનો શંભુમેળો ઉમટી પડે છે. માત્ર સુરત જ નહી પણ સમગ્ર ગુજરાત અને દેશ માંથી લોકો સુરતી માંજાની ખરીદી માટે ડબગરવાડમાં ઉમટી પડે છે. પરંતુ આ વખતે ઉત્તરાયણને માત્ર ચાર દીવસનો સમય બાકી છે છતાં ઘરાકી માટે વેપારીઓ રાહ જોઇને બેઠા છે. એકલ દોકલ ઘરાકી જોવા મળી રહી છે.
સુરતનાં ડબગરવાડ જ નહી પરંતુ રાંદેર પતંગ બજારમાં પણ આવા જ હાલ જોવા મળી રહ્યા છે. વેપારીઓ પતંગ અને દોરીનો સ્ટેક કરીને બેઠા છે પરંતુ ખરીદનારા જ નહી મળતા વેપારીઓ વિમાસણમાં મુકાયા છે. વેપારીઓ મૂડીનુ રોકોણ કરીને ફસાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. ગયા વર્ષ જેટલી કમાણી આ વર્ષે નહી થાય તેવી નિરાશા વેપારીઓમાં જોવા મળી રહી છે.
પતંગ બજારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પબજી વિડિયો ગેમ જેવા પતંગોએ આક્રષણ તો જમાવ્યુ છે. એકલ દોકલ ઘરાકો બજારમાં ફરતા જોવા મળી રહ્યા છે. જોકે રવીવારની રજાના દીવસે સારી ઘરાકીની અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે.
આ વખતે ગયા વર્ષની સરખામણીએ પતંગ અને દોરાના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના વેપારીઓ પોતાના સંગ્રહ કરેલા સ્ટોકનુ શું કરવુ તેની પળોજણમાં પડ્યા છે. વેપારીઓ ઓછા નફા સાથે પણ પોતાનો માલ વેચી રહ્યા છે. ખાસ કરીને જે દોરા બજારમાં વધુ વેચાઈ રહ્યા તેનો સ્ટોક ખાલી કરવામાં આવી રહ્યો છે. ડબગરવાડમાં રહેતા આ પરિવારો વર્ષમાં એક વાર પતંગનો ધંધો કરીને આખુ વર્ષ ચાલી શકે એટલી કમાણી કરી લેતા હોય છે. પરંતુ આ વખતે વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે. આગામી દીવસોમાં સારા વેપારની આશાએ વેપારીઓ બેઠા છે.
મકરસંક્રાંતિનો તહેવાર સામાન્ય રીતે આખા ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે. સુરતીમાંજો જગવિખ્યાત છે ત્યારે મંદીનાં માહોલમાં માંજાની ચમક ઓછી થતી જોવા મળી રહી છે. પરંતુ છેલ્લી ઘડીએ ખરીદી કરવા ટેવાયેલા સુરતીલાલઓ ઉત્તરાયણનાં આગળનાં દિવસે ખરીદી કરશે એવી અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે. પરંતુ ઉત્તરાયણનાં વેપારથી આખુ વર્ષ ઘર ચલાવવાની વેપારીઓની આશા ઠગારી નીડવડશે એમા કોઈ બેમત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.