મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે મંગળવાર તા. 21 જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં બેદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો સાંજે 6-30 કલાકે શુભારંભ થશે. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી તા.21 અને 22 જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાઇ રહ્યો છે.
પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતું, તેમાં ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન પાટણના રાજવી ભીમદેવ સોલંકીએ ઇ.સ. 1026માં મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે રેતિયા પથ્થરમાંથી કલાત્મક સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સૂર્યકુંડ, સભામંડપ અને નૃત્ય મંડપ એમ ત્રણ ભાગમાં નિર્મિત સૂર્યમંદિરના એકએક પથ્થર ઉપર રામાયણ, મહાભારતના કથાનક શિલ્પો, કૃષ્ણલીલા અને સુંદર સ્ત્રી શિલ્પો કંડારેલાં છે.
ઉતરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસો લાંબા થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે. મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતી તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં 1992થી ઉજવણી કરવામાં આવે છે.
ઉત્તરાર્ધ ઉત્સવ 2020માં આ વર્ષે પ્રથમ દિવસે તા. 21 જાન્યુઆરીએ ગૌરવ પુરસ્કૃત કલાકાર ભરત બારીયા, ગૌરવ પુરસ્કાર કલાકાર અક્ષય પટેલ અને સુ કલાગુરૂ શીતલ બારોટની ગણેશવંદના તથા સુધાજી ચંન્દ્રન ભરતનાટયમ, સુ ગ્રેસીસીંગજી ઓડીસી, કેવી સત્યનારાયણ કુચીપુડી બેલે, સુ વિનિતા શ્રીનંદન મોહીની અટ્ટમ, સુ મોહેંતી ઓડીસી નૃત્યો પ્રસ્તુત કરશે.
આ નૃત્યોત્સવના બીજા દિવસે તા.22-1-2020ના રોજ ગૌરવ પુરસ્કૃત કલાગુરૂ શીતલ મકવાણાની ગણેશ વંદના, પૂર્ણિમા અશોક ભરત નાટ્યમ, વૈશાલી ત્રિવેદી કથ્થક, જયપ્રભા મેનોન મોહિની અટ્ટમ સપના શાહ ભરત નાટયમ, અલોકા કાનુંગો ઓડીસી અને દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આ ઉત્સવનું સમાપન તા. 22 જાન્યુઆરીએ કરાવવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.