કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 12મી નવેમ્બરના રોજ વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ-2021 નો શુભારંભ કરવામાં આવશે. જ્યારે 13મીએ સાંજે તાના-રીરી મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આગામી તા. ૧૨/૧૧/૨૦૨૧ અને ૧૩/૧૧/૨૦૨૧ ના રોજ વડનગર ખાતે યોજાનાર “તાનારીરી મહોત્સવ” ની પૂર્વ તૈયારીના ભાગરૂપે સંબધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી. #TanaririMahotsav2021 @pkumarias @CMOGuj pic.twitter.com/dLU7VxP7zt
— Collector Mehsana (@CollectorMeh) October 29, 2021
ઉલ્લેખનીય છે કે, તાનસેનને દીપક રાગનું ગાન કરતાં, તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી હતી. જેને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા હતા પરંતુ તેઓ ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. આ બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાય છે.
આ મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2010થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.
અત્યારસુધી કોને મળ્યા એવોર્ડ?
૨૦૧૦માં સુપ્રસિદ્ધ ગાયિકા સ્વર કિન્નરી લતામંગેશકર-ઉષા મંગેશકર બહેનોને, ૨૦૧૧-૧૨માં પદ્મભુષણ ગિરીજાદેવી, ૨૦૧૨-૧૩માં કિશોરી આમોનકર, ૨૦૧૩-૧૪માં બેગમ પરવીન સુલ્તાના, ૨૦૧૪-૧૫માં સ્વર યોગીની ડૉ. પ્રભા અત્રે તેમજ ર૦૧૬-૧૭માં શ્રીમતી મંજુબહેન મહેતા અને શ્રીમતી ડૉ. લલીથ રાવને તથા ર૦૧૭-૧૮માં પદ્મશ્રી આશા ભોંસલે અને ર૦૧૮-૧૯માં વિદૂષી સુશ્રી રૂપાંદે શાહ અને ર૦૧૯-ર૦માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલ જેવા સ્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ સન્માનથી વિભૂષિત કરવામાં આવેલા છે.
વર્ષ 2019માં એક જ દિવસમાં ત્રણ વિશ્વક્રમ નોંધાયા
પહેલો વર્લ્ડ રેકોર્ડ : તબલા તાલીમ સંસ્થા અમદાવાદના 8 પ્રજ્ઞાચક્ષુ સહિત 150 કલાકારો દ્વારા તબલાવાદન કરાયું. જેમાં 30 મિનિટમાં 28 તાલ રજૂ કરાયા. 6થી 60 વર્ષ સુધીના કલાકારોએ તબલાની એવી તો સંગીત રચી દર્શકો આફરીન પોકારી ગયા. આ કાર્યક્રમનું સંચાલન મુંજાલ મહેતાએ કર્યુ, જ્યારે હાર્મોનિયમની સંગત આપી હતી કલ્પેશ ભોજકે. આ 28 તાલ રજૂ કરાયા : કહેરવા, દાદરા, ત્રીતાલ, જયતાલ, એકતાલ, ખેમરા, રૂપક, તેવરા, ચૌતાલ, ઘુમાળી, હિંચ, દીપચંદી, શૂલ, તીલવાડા, ચિત્ર, નટ, મોહિની, સદાનંદ, હંસલી, ધમાર, ઝુમર, અધ્ધા, પંજાબી, જત, ટપ્પા, પસ્તો, કૂરોદસ્ત, અને વસંત તાલ.
બીજો વર્લ્ડ રેકોર્ડ : કલાગુરુ શીતલબેન બારોટ દ્વારા એક જ મિનિટમાં નવરસની પ્રસ્તુતિ ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં કરાઇ. આ નવરસમાં શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદભૂત રસ અને શાંત રસ.
ત્રીજો વર્લ્ડ રેકોર્ડ : 108 વાંસળીવાદકો દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવજન તો તેને રે કહીએ…. રાગ ખમાજ પર અને ત્યારબાદ તરત જ રાષ્ટ્રગાન જન ગણ મન. પાંચ મિનિટમાં વગાડી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જેના ગૃપ લીડર હતા ભરત વ્યાસ અને ગૃપ માર્ગદર્શક હતા સંજીવ ધારૈયા.