વડોદરા,
વડોદરામાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાથી આમ નાગરિકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરનાં જુનાં શહેર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધુ વિકટ બનતી જાય છે, ત્યારે તેને દુર કરવા વડોદરા મહાનગર પાલિકા અને શહેર ટ્રાફિક પોલીસે સંયુક્ત ઝુંબેશ ઉપાડી શહેરનાં અતિગીચ એવાં મંગળ બજારમાં કામગીરી કરી હતી.
જેમાં પ્રતાપ સિનેમાથી પદ્માવતી શોપિંગ સેન્ટર તરફનાં માર્ગને બંધ કરી સમગ્ર ટ્રાફિક મંગળબજાર તરફ ઝુલેલાલ મંદીર વાળા રસ્તે વાળ્યો હતો. જે માટે પાલિકા અને પોલીસે મંગળબજારનાં પથારાને દુર કરવામાં આવ્યાં હતાં.
મંગળબજારમાં પથારાઓનાં દબાણને કારણે વર્ષોથી બજારનો રસ્તો બંધ હાલતમાં હતો. જેને અગાઉ પણ પાલિકાએ પોલીસની મદદથી દુર કર્યા હતાં. પરંતુ થોડા દિવસ બાદ ફરીથી ત્યાં દબાણો થઇ જતાં હોય છે.
જો કે, હવે આ મામલે પાલિકા વધુ કડક વલણ અપનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકની જટિલ સમસ્યા માટે વારંવાર થતાં પથારાઓનાં દબાણ જવાબદાર હોવાથી નાગરિકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાલિકાએ ગુરૂવારે 6 પથારાધારકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.