Ahmedabad News: અમદાવાદમાં પીરાણામાં ધાર્મિક સ્થળમાં તોડફોડ કરવામાં આવતા પોલીસ સક્રિય થઈ હતી. અગાઉ પ્રાંગણમાં બાંધકામમાં ફેરફાર કરાયો હોવાનો વિવાદ વકર્યો હતો. આ સંજોગોમાં બે જૂથો સામસામે આવતા મામલો બીચક્યો હતો.
બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. આ મામલે રેન્જ આઇજી, એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો પહોંચ્યો હતો. પોલીસની હાજરીમાં પણ ટોળું કાબૂમાં આવ્યું ન હતું. પોલીસને પણ બંદોબસ્ત જાળવવા દરમિયાન પથ્થરમારામાં સામાન્ય ઇજા થઈ હતી. આ બનાવના પગલે પોલીસે પીરાણામાં એસઆરપી જવાનોનો બંદોબસ્ત ગોઠવ્યો છે. સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે.
પીરાણા ગામમાં મંદિરની સાથે દરગાહ હોવાથી બે કોમના લોકોની આસ્થાના કેન્દ્રના કારણે ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. અહીંનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. ફરીથી વિવાદ થતાં આ સ્થળ પર તોડફોડ કરવામાં આવી હતી. તેના લીધે બંને જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો.
ગ્રામ્ય પોલીસને પથ્થરમારાનો મેસેજ મળતાં જ રેન્જ આઇજી,ગ્રામ્ય પોલીસના વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને અસલાલી, વિવેકાનંદ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અસલાલી પોલીસે આ કિસ્સામાં રાયોટિંગનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અસલાલીમાં આવેલા પીરાણા ગામના ધાર્મિક સ્થળે હિંદુ-મુસ્લિમ લોકોની આસ્થા જોડાયેલી છે. કોમી એક્તાના પ્રતીક સમી ઐતિહાસિક હઝરત બાવાની પીરાણા ખાતેની દરગાહ આવેલી છે. અહીં હિંદુ અને મુસ્લિમ સમાજ આસ્થા સાથે દર્શન અને વિધિ માટે આવે છે. પીરાણા દરગાહના ટ્રસ્ટમાં સૈયદ મુસ્લિમ સમાજ અને સતપંથી હિન્દુ સમાજ સંયુક્ત રીતે ટ્રસ્ટનું સંચાલન કરે છે. પીરાણા ખાતે હઝરત ઇમામશાહ બાવા દરગાહમાં 14 પવિત્ર કબરો શહીદ કરીને સમાધિ બનાવાઈ છે.