બંગાળમાં શુક્રવારની નમાજ બાદ થયેલા વિરોધ પ્રદર્શનને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. દરમિયાન, આજે ફરી એકવાર વિરોધીઓએ નાદિયા જિલ્લાના બેથુઆદહરી રેલ્વે સ્ટેશન પર પથ્થરમારો કરીને લોકલ ટ્રેનને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ બેથુઆદહરી રેલવે સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા તો પ્રદર્શનકારીઓએ મોટી સંખ્યામાં રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમાંથી કેટલાક સ્ટેશનમાં ઘૂસી ગયા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટોળાએ પ્લેટફોર્મ પર ચાલી રહેલી ટ્રેન પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના કારણે લાલગોલા લાઇન પર ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે.
નોંંધનીય છે કે, નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને લઈને દેશના ઘણા ભાગોમાં તણાવ જોવા મળી રહ્યો છે. શુક્રવાર, 10 જૂને, પશ્ચિમ બંગાળના હાવડા સહિત ઘણા શહેરોમાં હિંસક દેખાવો જોવા મળ્યા હતા. પરંતુ હવે હાવડામાં ફરી એકવાર હિંસા ફાટી નીકળવાના સમાચાર સામે આવ્યા છે. અહીં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી અને ટીયર ગેસના સેલ છોડ્યા. સ્થિતિને જોતા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.