સત્તા બેશર્મ હોય છે. તો સત્તાનશીનો જૂઠ ના સોદાગરો હોય છે.સત્તાધિકારીઓ માટે જૂઠું , અસત્ય, અર્ધ્યસત્ય કે પછી સંવેદનાને મારતી બયાનબાજી કરવી તે અનિવાર્યતા હોય તેવું જણાય છે. બને કે આમ કરવું તે તેમની રાજકીય મજબૂરી હોય.પરંતુ વક્રતા તે છે કે, લોકોને જ્યાં જાત અનુભવ થયો હોય, લોકોએ જે દર્દ,આઘાત વેઠ્યા હોય તેમને સાવ પોકળ દાવા કરતા જણાવવામાં આવે કે, ઓક્સિજનની કમીથી કોઈના મોત નથી થયા?રાજ્ય સરકાર આવી નિમ્નસ્તર ની નિવેદનબાજી કરે અને કેન્દ્ર સરકાર આસાનીથી તેને સ્વીકારી લે. તો લોકો આવા સંવેદનહીન નિવેદનો કેવી રીતે ગળે ઉતારે? જૂઠ કો આંચ નહીં ફેંકો તમ તમારે તેમ સમજી આવી બયાનબાજી કરતા તમામ પક્ષના નેતાઓએ સમજવું જોઈએ કે, જૂઠ પણ વિચારીને બોલવું જોઈએ.
સફેદ કપડામાં સફેદ કહેવાતા જુઠાણા લાચાર પ્રજા પર સાચા અર્થમાં તો પડ્યા પર પાટા સમાન છે. સમસ્યાઓ તો છે પરંતુ સમસ્યાને આ પ્રકારે છુપાવવાથી અને તેની પર ખોટી બયાનબાજી કરવાથી તે સાચું હરગીજ ન બની જાય.સાચા નેતાઓ સમસ્યાઓ સુલજાવવામાં કે તેનાથી છુટકારો અપાવવામાં તેમની નિષ્ઠા સમજે છે.અમેરિકામાં કોરોનાથી મરવાવાળાઓ નો આંકડો 2 લાખ થઇ ગયો હતો. જેને કારણે એક શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી.અને સરેઆમ આ સત્યનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને રાષ્ટ્રીય સ્તર પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ન્યુયોર્ક ટાઈમ્સ જેવા માતબર અખબારમાં પહેલા પાને જ 20 હજાર મૃતકોના નામ છાપીને તેમને જાહેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
પરંતુ અહીં સત્યનો સ્વીકાર કરનારા વીરલાઓ રાજકારણમાં જૂજ જોવા મળે.પણ તમે સત્ય ભલે ન સ્વીકરો પરંતુ માનવતા વિહોણી અસંવેદનશીલ લાગતી સરવાણી તો ના કરશો.વળી વાત આટલી પણ નથી. જુઠ્ઠાણાની સાથે સાથે બેજવાબદારીભર્યા નિવેદનો પણ લોકોના દર્દ પર નમક છિડકવાનું કામ કરે છે. બળાત્કારની ઘટના હોય કે સ્ત્રીઓ સાથે અપમાનભર્યું વર્તન હોય ત્યારે જે તે પક્ષના નેતાઓ કપડાં પહેરવાથી લઇ, દેખાવ અને બહાર નીકળવાના સમય અંગે પણ ચિત્ર-વિચિત્ર બયાનબાજી કરી તેમની બેજવાબદારી છતી કરતા હોય છે.
આવા વિવાદિત બયાનો માં RSS વડા મોહન ભાગવતથી લઇ હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂકેલ મનોહરલાલ ખટ્ટર કે જેણે કહ્યું હતું કે, મરનારાઓ તો મરી ગયા છે. હવે તેના આંકડાઓ પર ચર્ચા કરવાથી શું ફાયદો છે? બહસ કરવાથી મરનારાઓ તો જીવતા નહીં થઇ જાય ને ? ત્યારે આવી નિવેદનબાઝી સાંભળી મનમાં તેમ થાય છે કે, લોકોની વેદના પર મલમ લગાવવાને બદલે આવી ક્ષુલ્લ્ક બયાનબાજી કરી આપ શું સાબિત કરવા માંગો છો ? આ જ પ્રકારે મધ્યપ્રદેશના પશુપાલન મંત્રી એ પણ આવું જ બેજવાબદાર નિવેદન કર્યું હતું.
તેમના મતે , વાઇરસથી મરનારા લોકોને રોકી નથી શકાતા. કેમ કે જેનું આયુષ્ય પૂરું થયું હોય તેને તો મરવું જ પડે છે. ઉપર થી બોલાવી લે તો કોઈ શું કરી શકે છે? વિચારો સંવેદનહીનતાની આ પરાકાષ્ઠા કે જેને લોકોના દર્દ સાથે કોઈ લેવા દેવા જ નથી. થોડા દિવસો અગાઉ રાજસ્થાનનો પણ આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક મહીલા તેના બીમાર બાળકને એક કેન્દ્રીય મંત્રી પાસે મદદ માટે લઇ જતા તેમણે જણાવ્યું હતું કે, બાલાજીને નારિયેળ ચડાવે તેનાથી તેની તકલીફ દૂર થશે. ત્યારે આશ્ચર્યની વાત છે કે, ભારત સરકારના મંત્રી ઈલાજ ની સુવિધા અપાવવાને બદલે મંદિરમાં માનતાની વાત કરે છે.
ખેર આવી બયાનબાજી તે રાજકારણ કે રાજકારણીઓની બહુ સામાનું ટેવ છે. ગમે તે બોલી ફરી જવું કે ફેરવી નાખવું. અરે આ તો કઈ નથી બાકી બળાત્કારથી લઇ ધર્મ અંગે ચર્ચાસ્પદ બયાનબાજી કરવી તે આજના રાજનેતાઓની ફિતરત બની ચુકી છે.જેમાં ધર્મ અને જાતિવાદનું કાર્ડ તો ખુબ જ ચવાઈ ગયેલ શબ્દો છે પરંતુ આ લોકોને તેમાં હજી કસ લાગે છે.જેને પરિણામે ધર્મને લગતી નિવેદનબાજી પણ દરેક પાર્ટીના કોઈકને કોઈક નેતાઓ કરે રાખે છે. પરંતુ નેતાઓ યાદ રાખે કે, લોકો તેઓ સમજે છે તેટલા બેવકુફ નથી.આવા નિવેદનોથી તેમના કોઈ રોટલા નહીં શેકાય.ઉલ્ટાનું લોકોની નારાજગી જ વધશે.