@ડૉ.પ્રશસ્તિ પટેલ
કોવીડ-19 મહામારીએ માનવજાત પર આવેલી એવી આપદા છે જેને વૈજ્ઞાનિકો કે ડોક્ટરો સમજી શક્યા નથી. આ મહામારીમાં ફિઝિયોથેરાપિસ્ટ ખુબ મોટો ભાગ ભજવી રહ્યા છે. એક ફિઝિયોથેરાપિસ્ટ કોવીડ-19 વાઇરસથી સંક્રમિત દર્દીની સારવારમાં ખુબ મદદરૂપ થાય છે. એ દર્દીઓ ઘરે હોય (હોમ કોરેન્ટાઇન) કે હોસ્પિટલાઇઝડ હોય, બંને કેર સેટિંગમાં ફિઝિયોથેરાપી આપવામાં આવે છે. જોકે હોમકેરમાં ફિઝિયોથેરાપી હજુ એટલું પોપ્યુલર નથી થયું પણ સો ટાકા ફાયદાકારક છે.
ફિઝિયોથેરાપીની અલગ અલગ શાખાઓ છે. જેમ કે ઓર્થો ફિઝિયોથેરાપી, ન્યુરો ફિઝિયોથેરાપી, કાર્ડીઓ-પલ્મોનરી ફિઝિયોથેરાપી, વુમન્સ હેલ્થ, રિહેબિલિટેશન વગેરે. જેમાંથી કાર્ડીઓ-પલ્મોનરી ફિઝિયોથેરાપીને ચેસ્ટ ફિઝિયોથેરાપી પણ કહેવામાં આવે છે. કોવીડ-19 વાઇરસથી સંક્રમિત દર્દીઓને આખા શરીરની સાથે સાથે ચેસ્ટ ફિઝિયોથેરાપી પણ આપવામાં આવે છે.
કોવીડમાં ચેસ્ટ ફિઝિયોથેરાપીનો રોલ શું છે?
કોવીડ પેશન્ટમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. જેના કારણે પેશન્ટને નબળાઈ, અશક્તિ, થાક, શ્વાસ ચડવો, કમર દુખવી જેવી તકલીફો થાય છે. ચેસ્ટ ફિઝિયોથેરાપી એટલે ફેફસા અને હ્રદયને લગતી કસરતો અને ટેક્નિક્સ. કોવીડ દર્દીઓ માટે ચેસ્ટ ફિઝિયોથેરાપીમાં ફેફસા સાફ કરવાની ટેક્નિક્સ આપવામાં આવે છે, જેના દ્વારા ફેફસામાં ભરાયેલો કફ બહાર નીકળે છે. અને તે પછી શ્વાસોશ્વાસની કસરત દ્વારા ફેફસાને મજબૂત કરવામાં આવે છે. ફેફસાને મજબૂત કરવાથી તેની કેપેસિટી વધે છે અને આખા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે.
ડૉ. કિંજલ ત્રિવેદી, માસ્ટર ઓફ કાર્ડીઓરેસ્પીરેટોરી ફિઝિયોથેરાપીના કહેવા મુજબ, “દરેક વ્યક્તિને તેમની શારીરિક બનાવટ અને કન્ડિશન મુજબ સારવાર અલગ અલગ રીતે આપવામાં આવે છે. જે પણ વ્યક્તિ જ્યાં પણ સારવાર લેતું હોય એ રીતે એમની ફિઝિયોથેરાપીમાં પણ અમુક અંશે ફેર પડે છે. કોવીડ દરમ્યાન પેશન્ટની સારવાર બેમાંથી એક જગ્યાએ થતી હોય છે. 1) હોમકેર સેટિંગ 2) હોસ્પિટલ કેર.
1) હોમકેર સેટિંગ : જો દર્દીની સારવાર ઘરે જ થતી હોય તો એનો અર્થ એ છે કે એ પેશન્ટ ઘણા અંશે સ્ટેબલ છે. તેવા દર્દીઓનું ઓક્સિજન લેવલ મેન્ટેન રહે છે. આ પરિસ્થિતિમાં સૌથી અગત્યનું છે આ પરિસ્થિતિને જાળવી રાખવી. અને એ પરિસ્થિતિને જાળવી રાખવામાં અને ફાસ્ટ રિકવરી લાવવામાં એક ફિઝિયોથેરાપિસ્ટ મદદ કરે છે. કોરોના વાઇરસ શરીરમાં ઘણી આડઅસર કરે છે, જેમાંથી રિકવર થતા લાંબો સમય નીકળી જાય છે. (ઓછામાં ઓછા 15 દિવસ, આશરે મહિનો કે એનાથી પણ વધારે). જો આ સમય દરમ્યાન ફિઝિયોથેરાપી આપવામાં આવે તો શરીરમાં થતું ઘણું બધું નુકસાન ઘટે છે અને દર્દી જલ્દી સાજા થયી જાય છે.
જો તમે 15 દિવસ પથારીમાં રહો છો, આરામ કરો છો તો તમારા ફેફસા, હૃદય અને શરીરના બીજા અંગોની એકટીવીટી અને ક્ષમતા ઘટી જાય છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે જો કોઈ અંગ કાર્યરત ના રહે તો તે તેની કાર્યક્ષમતા ઘુમાવી દે છે. એવી જ રીતે જો આપણે આપણા શરીરની ગતિવિધિ ઓછી કરી નાખીએ તો શરીરની કામ કરવાની શક્તિ ઘટી જાય છે.
કોવીડ દર્દી માટે આરામ અને ખાવાનપિવાનું અત્યંત અગત્યનું છે એવામાં જો કસરતના નામે કોઈપણ સ્ટ્રેસફૂલ એકટીવીટી કરવામાં આવે તો પરિસ્થિતિ બગડી શકે અને જો બિલકુલ કસરત ના થાય તો રિકવર થયા પછી પણ કોવીડની આડઅસર લાંબા સમય સુધી શરીરમાં રહે છે. જેમકે નબળાઈ, થાક વગેરે. તેથી હોમ કોરેન્ટાઇનમાં રહેલા કોવીડ પેશન્ટમાં ફિઝિયોથેરપી અગત્યનો ભાગ ભજવે છે.
2) હોસ્પિટલ કેર સેટિંગ : હોસ્પિટલાઇઝડ પેશન્ટ આઇ સી યુ, ઓક્સિજન થેરાપી અથવા તો ઓબિસર્વેશનમાં હોઈ શકે. દરેક પ્રકારના પેશન્ટ માટે ફિઝિયોથેરાપીનો અગત્યનો રોલ છે. WHO ના ડિરેક્ટર ડૉ. ટેડરોસ એ, આ મહામારી દરમ્યાન ફિઝિયોથેરાપી ક્ષેત્રને ખુબ આવકાર્ય રીતે વધાવી અને વખાણી છે.
આઈ સી યુમાં જયારે પેશન્ટ વેન્ટિલેટર પર હોય ત્યારે તે પેશન્ટના ફેફસામાં કફ ભરાઈ જાય છે. ફિઝિયોથેરપિસ્ટ તેવા પેશન્ટને ચેસ્ટ ફિઝિયોથેરાપી આપી તેમના ફેફસાને ક્લીન કરે છે. જેને બ્રોન્કિયલ હાઇજીન કહેવામાં આવે છે. આપણા ફેફસામાં જો હવા સિવાય બીજું કઈ પણ હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેમકે કફ, પાણી કે ફેફસામાં આવેલો સોજો. પેશન્ટના ફેફ્સામાંથી કફ કાઢવા માટે તેમને પોઝિશનિંગ આપવામાં આવે છે. જેનાથી એમનો કફ ફેફસામાંથી બહાર શ્વાસનળી સુધી આવી જાય અને આસાનીથી ખાંસી ખાઈ મોઢાથી બહાર કાઢી શકાય, પેશન્ટ એવું ના કરી શકે તો સક્શનિંગ દ્વારા પણ શ્વાસનળીમાં આવેલો કફ બહાર કાઢી શકાય.
આઈ સી યુ માં રહેલા પેશન્ટ જે વેન્ટિલેટર પર હોય તેમની શ્વાસોશ્વાસની ક્રિયા બદલાઈ જાય છે. ફિઝિયોથેરાપિસ્ટ તેવા પેશન્ટને ચેસ્ટ પીએનએફ જેવી ટેક્નિક આપી તેમને મદદરૂપ થાય છે. તે સાથે જ તેમને વેન્ટિલેટર કાઢી લીધા પછી તેમને સાચી બ્રિથિંગ પેટ્ટર્ન કસરત કરવીને શીખવવામાં આવે છે. વેન્ટિલેટર પર રહેલા પેશન્ટને હાથપગની હળવી કસરત પણ કરાવામાં આવે છે. હાથ પગની કસરત કરવાથી પેશન્ટના સ્નાયુનું પ્રમાણ (મસલ- માંસ) ઓછું થતું અટકાવી શકાય છે.
ઓક્સિજનની ઉણપના કારણે સ્નાયુનું પ્રમાણ ઘટી જાય છે. આપણા સ્નાયુ ફક્ત ઓક્સિજન અને લોહીમાંથી મળતા ન્યુટ્રિશનના લીધે જળવાઈ રહે છે. જો પૂરતો ઓક્સિજન ના મળે તો સ્નાયુનું પ્રમાણ ઘટી જાય છે. તેથી જ પેશન્ટને નબળાઈ – અશક્તિ વગેરે લાગે છે. જો સ્નાયુનું પ્રમાણ શરીરમાં જાળવી રાખવું હોય તો તેની કસરત કરતા રહેવું પડે.”
કસરત એ દવાની જેમ જ કામ કરે છે. તેનો ચોક્કસ સમય અને ડોઝ નક્કી કરવા પડે. કસરતનો ડોઝ – કસરત ક્યારે કેટલી અને કઈ કરવી એ ફિઝિયોથેરપિસ્ટ નક્કી કરે છે.
નોંધ:- આ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.