માતૃત્વ : ભાવિની વસાણી
દરેક માતા-પિતાને તેના બાળકની અને તેની વૃદ્ધિની વિશેષ ચિંતા રહેતી હોય છે. બાળકોની વૃદ્ધિ વિવિધ તબક્કા મુજબ થતી હોય છે તે પ્રમાણે તેની પોષણની જરૂરિયાતોને વર્ગીકૃત કરી શકાય છે. શૈશવ અવસ્થામાં વૃદ્ધિની ઝડપ વધારે હોય છે જ્યારે શાળાએ જતાં બાળકોની પણ સતત વૃદ્ધિ થતી જ રહેતી હોય છે, પરંતુ શૈશવ અવસ્થાના પ્રમાણમાં ધીમી હોય છે. પ્રારંભના થોડા વર્ષો એટલે કે લગભગ ૭ થી ૯ વર્ષ દરમિયાન છોકરાઓ અને છોકરીના વૃદ્ધિદરમાં મોટો તફાવત જોવા મળતો નથી જોકે તે પછી છોકરીઓ ઝડપથી વૃદ્ધિ પામતી હોય છે. ઘણી વખત આપણે બાળકો વચ્ચે સરખામણી કરીએ ત્યારે જોવા મળે છે કે દસ કે અગિયાર વર્ષની છોકરી છોકરા કરતાં વધારે ઊંચી હોય અને તેનું વજન પણ વધારે હશે. આ સમયગાળામાં બાળકોના વૃદ્ધિદરમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે.
એ જાણીને નવાઈ લાગશે કે મગજની વૃદ્ધિ તો બાળકના શાળા પૂર્વના વર્ષોમાં જ પૂર્ણ થઈ જતી હોય છે. બાળકોની ઊંચાઈમાં દર વર્ષે ૪ થી ૬ સેન્ટીમીટરનો વધારો થતો હોય છે, જેમાં છોકરીઓ છોકરા કરતા થોડી આગળ પણ હોઈ શકે છે. જ્યારે વજનમાં બેથી ત્રણ કિલોનો વધારો થતો હોય છે. બાળક તેની ઉંમર અને ઊંચાઈના પ્રમાણમાં યોગ્ય વજન પ્રાપ્ત કરતું રહે તેની ખાતરી માતા-પિતાએ સતત કરતા રહેવી જોઈએ. બાળકો મોટા થતા હોવાથી તેમને તમામ પ્રકારના પોષણ મળી રહે તે પ્રકારનો ખોરાક આપવો જોઈએ. વર્તમાન સમયમાં તો તમામ શાળાઓ કોરોના મહામારીના કારણે ખોલવામાં આવી નથી, દેશભરના બાળકોનું શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે, ત્યારે બાળકને ખોરાક પણ તેની જરૂરિયાત પ્રમાણે આપવો જોઈએ. ચાલો જાણીએ કઇ ઉંમરના બાળકને કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ.
* શાળાએ જતાં પહેલાના સમયગાળામાં બાળકની ભૂખનું પ્રમાણ ઓછું હોય છે. તેમ છતાં તે વધારે પ્રમાણમાં ખોરાક લે છે. મોટાભાગના કિસ્સાઓમાં વધારે પ્રકારની વાનગીઓ આરોગતુ હોય છે.
* બાળકને છઠ્ઠા વર્ષે કાયમી દાંત આવવાની શરૂઆત થાય છે, અને કોઇપણ ઉમરમાં દાંતનો સડો થાય તેની સાવચેતી રાખવી જોઈએ. આ માટે ચોકલેટ, પીપર, કેક વગેરે શક્ય તેટલા ઓછા આપવા જોઈએ.
* આ ઉંમરે બાળકોને કાયમી દાંત આવતા હોય છે, અને દાંતની નબળી સ્વચ્છતા ખાસ કરીને ગળ્યા પદાર્થો ખાધા પછી દાંત બરાબર સફાઈ ન કરવાથી ઉપસ્થિત થાય છે. શક્ય હોય તો બાળકને દિવસમાં બે વખત બ્રશ કરે તેવી આદત પાડવી જોઈએ.
* સામાન્ય રીતે શાળાએ જતા ૬ થી ૧૨ વર્ષની ઉંમરના બાળકોને ખવડાવવામાં ઓછા પ્રશ્નો હોય છે, આ સમયગાળા દરમિયાન બાળકે શું ભાવે છે અને શું નથી ભાવતું એ નક્કી કરી લીધું હોય છે.
* બાળકની રસ અને રુચિ પ્રમાણે તેના ખોરાકની પસંદગી બદલાતી રહેતી હોય છે આથી તેની ખોરાકની પસંદગી કાયમી એક સરખી હોય તેવું માની લેવું નહીં તેમ જ બાળકને સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવાની આદત પાડો.
*તરુણાવસ્થામાં શાળાએ જવાની ઉંમરમાં બાળકની માત્ર એક કે બે પ્રકારના નહીં પરંતુ વિવિધ પ્રકારના ખોરાક લેવાની આદત પાડવી જોઈએ જેથી તેને વિવિધ પ્રકારના પોષણ મળી રહે.
* શાળાએ જતા નાના બાળકને જો યોગ્ય આહાર મળી રહેતો તેમને પોષણની દ્રષ્ટિએ ભાગ્યે જ કોઇ સવાલો ઊભા થતા હોય છે.
પરંતુ બાળકોના આહારમાં કોઈ ઉણપ રહી જાય તો તેની અસર મોટેરાઓ કરતાં વધારે ઝડપથી અને માઠી થાય છે.
* બાળકના વૃદ્ધિ પામતા શરીરની રચના વધારાના જથ્થાને જરૂરિયાતોને પહોંચી વળવા રક્ત પણ બનતું રહે છે, આથી શિશું વય કરતા આ વયજૂથના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે.
* ખાસ અને યાદ રાખવા જેવી બાબત એ છે કે છોકરીઓને તેમના ખોરાકમાં પૂરતુ આર્યન પ્રાપ્ત થતું હોવું જોઈએ, જેથી માસિક ધર્મની વયે પહોંચતા પહેલા તેમના શરીરમાં આર્યનના જરૂરી જથ્થાનો સંગ્રહ થઈ શકે.
* આ બાબતમાં એ પણ ધ્યાન રાખવું જોઈએ અપૂરતા પોષણથી ગંભીર પરિણામો પણ આવી શકે જો બાળકને પોષણ પૂરતું ન મળતું હોય તો તે થોડી વારમાં થાકી જાય છે. જેથી તે શાળામાં અભ્યાસ કે અન્ય શારીરિક પ્રવૃત્તિમાં યોગ્ય દેખાવ કરી શકતું નથી. આવા બાળકને સહેલાઈથી કોઈપણ પ્રકારનો ચેપ લાગી શકે છે.
* જુદા જુદા બાળકોની ભૂખની જરૂરિયાતો જુદી જુદી હોય છે. દસ કે અગિયાર વર્ષની ઉંમર સુધી છોકરાઓ અને છોકરીઓના આહારની જરૂરિયાતો મહદંશે સરખી હોય છે. પરંતુ ત્યારબાદ છોકરાઓ અને છોકરીઓ બંનેના શરીરમાં જે ફેરફારો થતા હોય છે, તેના કારણે અમુક પ્રકારના ખોરાકનું ધ્યાન રાખવું પડે છે.
* બાળક જ્યારે તરુણ અવસ્થામાં હોય છે ત્યારે શાળાએ જવાની શરૂઆત થતી હોય છે ત્યારે ખાવાની આદતોમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે, અને તેમાં કેટલાક અંશે શાળાઓ પણ જવાબદાર હોય છે. કારણકે હવે તો શાળાઓ માંથી કયા દિવસે ટિફિન બોક્સમાં શું લઈ જવું તેનો ચાર્ટ આપવામાં આવતો હોય છે.
* ભોજનનો સમય બાળકના શાળાના સમય પ્રમાણે રાખવો પડે છે. હાલ ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે તેથી બાળકને શારીરિક શ્રમ ઓછો પડે છે પરંતુ તે પ્રમાણે તમારે સમયપત્રક તૈયાર કરવું જોઈએ.
* વર્તમાન સમય અને સંજોગોમાં બાળક ભણતર સિવાય કયા પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરી રહ્યું છે તે પ્રમાણે તેના ખોરાકમાં પોષણમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. ખાસ કરીને બેઠાડું જીવન વ્યતીત કરતા હોય તેવા બાળકને ચરબીયુક્ત ખોરાક બહુ વધારે પ્રમાણમાં આપવો જોઈએ નહીં. નહીંતર બાળક મેદસ્વિતાનો શિકાર થઈ શકે છે.
* બાળકે સવારનો નાસ્તો અચૂક કરવો જોઈએ, ભૂખ્યું બાળક ક્યારે પણ એકાગ્ર થઈ શકતું નથી. અને સારી રીતે અધ્યયન કરી શકતું નથી.
* બાળકના સવારના નાસ્તામાં અનાજ ઉપરાંત પ્રોટીન ખાદ્ય પદાર્થ માટે વિવિધ પ્રકારના કઠોળ તેમજ એક ફળ પણ ઉમેરવું જોઇએ, જેથી તેને વિટામીન સીની જરૂરિયાત પૂરી થઈ શકે.
*બાળકના આખા દિવસની પોષણની જરૂરિયાતનો ત્રીજો ભાગ તેને બપોરના ભોજનમાંથી મળી રહેવો જોઈએ.બાળકને શાળા ચાલુ હોય ત્યારે ઘરે પાછો ફરે ત્યાં સુધીના સમયને ધ્યાનમાં રાખીને તેને નાસ્તાની કે ભોજનની ગોઠવણી કરી આપવી જોઈએ.
* ઘણી વખત બાળક અન્ય પ્રવૃત્તિઓમાં એટલું બધું મશગુલ થઈ ગયું હોય છે, તેને ખાવા માટે તૈયાર કરવું મુશ્કેલ થઈ જાય છે, એ તમે જોઈ શકો છો. આ વખતે તમે તેને ખાવા માટે ફરજ પાડશો તો તે ખાઈને જ પાછું જે કરતું હશે તે કરવા માટે દોડી જશે. ત્યારબાદ તેને ભૂખ લાગે છે ત્યારે તે તમારી પાસે નાસ્તો માગે છે.
* બાળકને નાસ્તો આપો ત્યારે ચોકલેટ, વેફર કે બિસ્કીટ જેવા નાસ્તાના બદલે પૌષ્ટિક નાસ્તો કરવા માટે તેને પ્રોત્સાહન પૂરુ પાડો.
* બાળકોને એ બાબતનું શિક્ષણ આપો કે ચોકલેટ કે વેફર ક્યારેક જ ખાવાની વસ્તુ છે અને ગળ્યું ખાવાનું પ્રમાણ પણ વાલીઓએ નિર્ધારિત કરીને રાખવું જોઈએ.
* બાળકોને રોજીંદા ભોજનમાં ફળ અને શાકભાજી બે થી ત્રણ વખત અને એક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત લીલા પાંદડાવાળા શાકભાજી ઉમેરવા જોઈએ જેથી વિટામીન સી તેને પ્રાપ્ત થઈ રહે.
* ઘણા બાળકોને શાકભાજી ખાવા પસંદ નથી હોતા ત્યારે પ્રયત્ન પુર્વક આવા ખાદ્ય પદાર્થો ખવડાવવા જોઈએ. આ માટે તમારે રંગબેરંગી અને આકર્ષક રીતે સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવી જોઈએ જેથી તેને ખાવાની ઈચ્છા થાય.
* બાળકોને દિવસમાં ચારથી પાંચ વખત ખાવાની જરૂરીયાત રહે છે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. માટે બાળકો ભૂખ્યા ન રહે તે ખાસ જોવું જોઇએ.