બોલીવુડ અભિનેતા હ્રીતિક રોશન સાથેના વિવાદ અને બેબાક અંદાજ માટે જાણીતી અભિનેત્રી કંગના રણોતે જણાવ્યુ કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ સાથે વધુ મિત્રતા કરવાની જરુર નથી, પરંતુ એ પણ જરુરી નથી કે આપણે તેમનાથી દૂરી બનાવવી જાઈએ.
કંગનાએ આ જવાબ કરણ જોહરની સાથે વધતી તેની મિત્રતા પર આપ્યો છે. કરણ જોહરની સાથે બોલીવુડમાં પરિવારવાદને લઈ પોતાની વાત પર મક્કમ રહીને કંગના ખૂબ ચર્ચામાં રહી હતી. કંગનાએ કરણના ભાઈ-ભતીજાવાદને માફિયા ગણાવ્યો હતો, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ અને નિવેદનબાજી કર્યા બાદ મેડમ કંગના, ટીવી પડદે કરણ જોહરના એક શોમાં મહેમાન બનીને પહોંચી, જ્યાં કંગનાએ કરણ પર ખૂબ પ્રેમ વરસાવ્યો.
કરણની સાથે મિત્રતા અને કામ કરવાના એક સવાલ અંગેના જવાબમાં કંગનાએ ગોળગોળ જવાબ આપ્યો. કંગનાએ જણાવ્યુ કે, મારા મનમાં કોઈના પ્રત્યે એવી કોઈ ધારણા નથી કે કોઈ ખાસ વ્યક્તિ વિશેષની સાથે કામ નથી કરવુ, સાથે જ એ પણ જરુરી નથી કે તમામ લોકો સાથે વધુ મિત્રતા કરી લેવી. મહત્વનુ છે કે, કંગના અત્યારે પોતાની આગામી ફિલ્મ મણિકર્ણિકાના શુટિંગમાં વ્યસ્ત છે.