-
સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા ગાંધીનગરમાં કંટ્રોલરૂમ શરુ
-
વાવાઝોડાને લઈ સરકાર દ્વારા તમામ આગોતરા પ્રયાસો શરુ
-
વાવાઝોડાની સ્થિતીમાં જિલ્લાઓની સાથે ગાંધીનગરથી સીધુ સંકલન કરવાની વ્યવસ્થા
રાજ્ય પર સંભવિત વાવાઝોડાને લઈ સરકાર દ્વારા તમામ આગોતરા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. આ માટે ગુજરાત ની રાજ્ય સરકારે ઈમરજન્સીની સ્થિતીમાં સંકલન સાધવા માટે કંટ્રોલ રુમ શરુ કરી દીધો છે. વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈ જ્યાં અસર સર્જાઈ શકે છે, એવા તમામ વિસ્તારો અને જિલ્લાઓની સાથે ગાંધીનગરથી સીધુ સંકલન સાધી શકાય એ માટે આયોજન કર્યુ છે. વાવાઝોડાની સ્થિતી દરમિયાન રાહત અને મદદની ટીમો ઝડપથી સ્થળ પર પહોંચાડવાનુ આયોજન પણ કરી શકાય અને નુક્શાન તેમજ અન્ય વિકટ પરિસ્થિતીઓમાં મુશ્કેલી ઘટાડવાનો પ્રયાસ કેવી રીતે કરી શકાય એ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
રાજ્ય સરકાર તમામ રીતે સજ્જ છે અને આ માટે તમામ સૂચનાઓ અધિકારીઓ અને વિભાગોને આપી દેવામાં આવી છે. કોઈપણ સ્થિતીને પહોંચી વળાય એ માટે તમામ સજ્જતા કરી લેવામાં આવી છે. ભૂતકાળની સ્થિતીના અનુભવ આધારે મોટા નુક્શાનને ટાળવા માટેના પ્રયાસો કરીને આગોતરા આયોજન કરવામાં આવ્યા છે. અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલા સાયક્લોન બિપરજોયે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કર્યો છે. આગામી 24 કલાકની અંદર જ ગુજરાત રાજ્યમાં મોટાપાયે વાતાવરણમાં પલટો આવી શકે છે. આની ગંભીર અસર પણ દરિયાકાંઠાના જે તે વિસ્તારો પર થશે.
આઈએમડીની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં આ ત્રણ દિવસ વીજળીના કડાકા, વાવાઝોડાની સાથે હળવા વરસાદની શક્યતા છે. ૧૧ અને ૧૨ જૂનના દિવસે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. અહીં દરિયામાં મોટા મોટા મોજા ઉછળી શકે છે.
15 NDRF ટીમો અને 11 SDRF ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. માછીમારોને ૧૪ જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.