રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાંની સાથે જ રાજ્ય સરકારે ચૂંટણીને ધ્યાનમાં લઇને ગરીબ કલ્યાણ મેળાના આયોજનમાં લાગી ગઇ છે, હજુપણ કોરોનાનાેલ ખતરો ટળ્યો નથી,હાલ કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરતું મૃત્યુઆંક તો ઉંચો જ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગરીબ કલ્યાણ મેળા યોજવા કેટલું વ્યાજબી છે?
કોરોના કેસની સંખ્યામાં ઝડપભેર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે હજુ મૃત્યુઆંક ચિંતાજનક હદે વધુ હોવા છતાં આગામી તા. 24 થી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ 24 ના રોજ મને જિલ્લા કક્ષાએ તારીખ 25 ના રોજ ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવશે. તારીખ 24 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાહોદથી આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. જ્યારે તારીખ 25 ના રોજ મોરબી અને તારીખ 26 ના અમરેલી ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ગરીબ કલ્યાણ મેળાઓનું લાઈવ ટેલીકાસ્ટ કરવા માટે પણ તંત્રને સૂચના આપવામાં આવી છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા શેડ્યુલ મુજબ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, કચ્છ અને મોરબીમાં તારીખ 25ના રોજ મેળા યોજાશે. તારીખ 26 ના અમરેલી બોટાદ દ્વારકા ગીર સોમનાથ જામનગર જૂનાગઢ પોરબંદર સુરેન્દ્રનગર ભાવનગર જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
સરકારની વિવિધ યોજનાઓના લાભ લોકોને એક જ સ્થળેથી મળી રહે તે માટે થઈ રહેલા આયોજનમાં સાયકલ વિતરણ, આવાસ યોજનાના કવાટર્સ ની ફાળવણી, ભૂમિ પૂજન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે અને આવા કાર્યક્રમોમાં જે તે જિલ્લાના પ્રભારી મંત્રી હાજર રહેશે. સમગ્ર આયોજનને અંતિમ રૂપ આપવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સમિતિઓની રચના કરવામાં આવનારી છે.