હવે ભારતીય વાયુસેનામાં મહિલા પાયલોટ પ્રોગ્રામને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે કહ્યું હતું કે આ નિર્ણય ભારતની મહિલા શક્તિની ક્ષમતાઓ અને મહિલા સશક્તિકરણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
રાજનાથ સિંહે ટ્વિટમાં લખ્યું છે કે, ‘રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેનામાં મહિલા પાઈલટ્સની ભરતી માટે શરૂ કરાયેલી પાઈલટ સ્કીમને કાયમી રાખવાનો નિર્ણય કર્યો છે.’ સુપ્રીમ કોર્ટે પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માં મહિલાઓના પ્રવેશ માટેનો માર્ગ મોકળો કર્યાના મહિનાઓ બાદ આ નિર્ણય આવ્યો છે.
2018માં ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ એકલા હાથે ફાઈટર પ્લેન ઉડાવીને ઈતિહાસ રચ્યો હતો. આવું કરનાર તે પ્રથમ ભારતીય મહિલા હતી. અવનીએ આ ફ્લાઇટમાં મિગ-21 બાઇસનને કમાન્ડ કર્યું હતું. 2020 માં, નેવીએ ડોર્નિયર મેરીટાઇમ ફાઇટર એરક્રાફ્ટ પર મહિલા પાઇલટ્સની પ્રથમ બેચની નિમણૂકની જાહેરાત કરી.
નેવીએ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય સહિત લગભગ 15 ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર 28 મહિલા અધિકારીઓને તૈનાત કરી છે. આવી વધુ નિમણૂંકોની યોજના સાથે, તેમની સંખ્યામાં વધારો થવાની તૈયારી છે. તે જ સમયે, ભારતીય સેનાએ વર્ષ 2019 માં સૈન્ય પોલીસમાં મહિલાઓની ભરતી શરૂ કરી હતી.