થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા 12 ખેલાડીઓ અને એમના કોચને 18 દિવસે ત્યાંથી સફળતા પૂર્વક બહાર નીકાળવામાં આવ્યાં છે. ગુફામાં ફસાયેલ બધા બાળકો અંડર 16 ફૂટબોલ ટીમના ખેલાડીઓ છે. બાળકોને બહાર નીકાળવા માટે ત્રણ દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આને અત્યાર સુધીનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન માનવામાં આવે છે. જેમાં ભારતીય કંપનીના એન્જિનીયર્સે પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
થાઇલેન્ડની ગુફામાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ કંપનીના ડિઝાઇનિંગ એન્જીનીયર પ્રસાદ કુલકર્ણી અને તેમની ટીમનું મહત્વનું યોગદાન છે. તેમણે ગુફામાં ફસાયેલા બાળકોના બચાવ માટે ટેક્નિકલ સપોર્ટ આપ્યો હતો. પુણે સ્થિત કંપનીના હેડક્વાટર્સથી આ જાણકારી આપવામાં આવી છે.
કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડના (કેબીએલ) ડિઝાઇનીંગ એન્જીનીયરે જણાવ્યું, થાઇલેન્ડ સ્થિત ભારતીય દુતાવાસે થાઇ અધિકારીઓને રેસ્ક્યુ ઓપરેશનમાં કેબીએલના વિશેષજ્ઞોએ મદદ કરવાની ભલામણ કરી હતી. જે પછી કંપનીએ ભારત, થાઇલેન્ડ અને બ્રિટનથી પોતાની વિશેષજ્ઞ ટીમને મોકલી હતી. આ ટીમ પાણી નીકાળવામાં એક્સપર્ટ છે.
કેબીએલે નિવેદન જાહેર કરીને કહ્યું કે, વિશેષજ્ઞોની ટીમ 5 જુલાઇથી જ ગુફા પાસે હાજર હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ગુફામાંથી કઇ રીતે પાણી બહાર લાવવામાં આવે અને પંપથી કઇ રીતે પાણી ઓછું કરવામાં આવે, આ બધી વસ્તુઓ પર ટેક્નિકલ સલાહ આપી હતી. આનાથી મરજીવા ઓછા સમયમાં બાળકો સુધી પહોંચી શકે.’
કેબીએલે એ પણ કહ્યું કે, બચાવ ટીમને હાઇ કેપેસિટીના પાણી નીકાળવાના ચાર પંપ પણ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જેને મહારાષ્ટ્રના કિર્લોસ્કારવાડી પ્લાન્ટથી થાઇલેન્ડ એરલિફ્ટ કરાવવા માટે તૈયાર રાખવામાં આવ્યાં હતાં જોકે તેની જરૂર પડી ના હતી.
નોંધનીય છે કે ગુફામાં ફૂટબોલ ટીમ અને તેમના કોચ 23 જુનથી ફસાયેલા હતાં. તે જ સમયે શરૂ થયેલ વરસાદના કારણે ગુફાથી બહાર આવવાના રસ્તા બંધ થઇ ગયા હતાં. જેના કારણે તેઓ અંદર ફસાઇ ગયા હતાં. બાળકોના રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણાં દેશોની ટીમે મદદ કરી હતી. થાઇલેન્ડ સરકારે ભારત સરકાર પાસે કિર્લોસ્કર પંપ મોકલવાની માગ કરી હતી. આ પંપથી ગુફામાં ફસાયેલું પાણી બહાર લાવી શકાય.