અમદાવાદ: સરકારી તંત્રની બેદરકારી કે લાપરવાહીના કારણે વલસાડ રેલવે સ્ટેશન પર લાખો રૂપિયાનું સરકારી અનાજ વરસાદમાં પલળી ગયું હોવાની ઘટના બહાર આવી છે. આવી ઘટના છેલ્લા કેટલાય વર્ષોથી બનતી આવી રહી છે, પરંતુ નઘરોળ તંત્રની ઊંઘ જ ઉડતી નથી. આ વલસાડ રેલવે સ્ટેશન પર જે સ્થળ પર આ અનાજની ગુણો મુકવામાં આવે છે ત્યાં પુરતા પ્રમાણમાં શેડ ન હોવાને લીધે દર ચોમાસામાં લાખો કરોડો રૂપિયાનું અનાજ પલળી જવાની ઘટનાઓ સામે આવે છે.
સરકારી વહીવટી તંત્રની બેદરકારીનો વધુ એક નમૂનો ફરી વખત વલસાડ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો છે. વલસાડ રેલ્વે સ્ટેશન પર માલગાડીમાંથી ત્રણ જિલ્લાના સરકારી અનાજનો જથ્થો અન્ય સ્થળે લઇ જવા માટે ટ્રક ભરાઈ રહ્યા હતા.આ સમયે સરકારી ઘઉંનો એક મોટો જથ્થો વરસાદી પાણીમાં પલળી રહ્યો હતો.
વલસાડ રેલવે સ્ટેશન પર વરસાદી વાતાવરણમાં સરકારી અનાજની યોગ્ય જાળવણીની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. જેના કારણે સરકારી અનાજની ગુણોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
છેલ્લા કેટલાક વર્ષોથી દર ચોમાસામાં આ રીતે લાખો કિલો સરકારી અનાજનો જથ્થો વરસાદી પાણીમાં પલળીને સડી જાય છે. એક તરફ ગરીબ વર્ગના લોકોને અનાજ ખાવાના પણ ફાંફા હોય છે.
આ સંજોગોમાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે લાખો કિલો અનાજનો જથ્થો પલળીને સડી જાય છે પરંતુ ગરીબોના મોઢા સુધી આ અનાજ પહોંચી શકતું નથી જેના કારણે સરકારના આવા બેદરકાર વહીવટ કર્તાઓ સામે રોષની લાગણી ઉઠવા પામી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર યથાવત
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે, જે મુજબ ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
જેમાં આહવામાં બે ઇંચ, વઘઇમાં બે ઇંચ, સુબિરમાં 3 ઇંચ, સાપુતારામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.
જયારે નવસારી જિલ્લાની વાત કરીએ તો મંગળવાર રાતથી જ નવસારી જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થયો છે.
આંકડા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં નવસારીમાં 164 મિ.મી., જલાલપોરમાં 144 મિ.મી., ગણદેવીમાં 90 મિ.મી., ચિખલીમાં 76 મિ.મી. અને વાંસદામાં 35 મિ.મી. વરસાદ સરકારી દફતરે નોંધાયો હતો.