વોશિંગ્ટન,
ઈમિગ્રન્ટ્સ મુદ્દે અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ વલણ બદલાતુ નજરે પડી રહ્યુ છે. ગત બુધવારે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ પારથી ગેરકાયદેસર ઘુસણખોરી કરતા ઈમિગ્રન્ટ્સના બાળકો તેમના પરિવારથી અલગ કરવાની પોતાની પોલીસીમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે તેમણે ફરી વખત પોતાના નિર્ણયને ફેરવી તોડતા અમેરિકાની આંતરરાષ્ટ્રીય સરહદને સુરક્ષિત રાખવા અને ગેરકાયદેસર રીતે લોકોના પ્રવેશને અટકાવવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે શુક્રવારે મોડી સાંજે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના હાથે માર્યા ગયેલા પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે વ્હાઈટ હાઉસમાં આ મુલાકાત યોજી હતી.
આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતું કે, તેમની સરકારનુ કર્તવ્ય અને મોટી વફાદારી અમેરીકાના લોકો પ્રત્યે છે. પોતાના નાગરીકોની દેશમાં અને સરહદ પર સુરક્ષા સુનિશ્ચિત કરવી એજ પોતાની સરકારનુ કર્તવ્ય છે. એંજલ ફેમીલી નામે ઓળખાતા આ પરિવારોને ટ્રમ્પે જણાવ્યુ હતું કે, અમે ઇચ્છીએ છીએ કે અમારા દેશમાં યોગ્યતા ધરાવતા લોકો જ આવે. એવા લોકો નહીં કે જેમને દુનિયાના અન્ય દેશો કચરાના ડબ્બામાં નાંખી દે છે અને અહીં મોકલી આપે છે.
અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને લઈ તેમની આકરી ટીકા થઈ રહી છે.
અમેરીકન રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યુ હતું કે, તમે ધારો છો કે તે દેશો અમેરીકામાં પોતાના સારા નાગરીકો રાખવા ધારે છે? તેઓ તેમના સારા લોકો નહીં પણ ખરાબ લોકોને અહીં મોકલે છે. જ્યારે તેઓ ગુનો કરે છે ત્યારે આપણે ચોંકી જઈએ છીએ.આપણે ત્યાં સુધી આરામથી નહીં રહી શકીએ જ્યાં સુધી આપણી સરહદ સુરક્ષિત નહીં હોય.