બ્રિટનના સાંસદ લોર્ડ એલેક્ઝેન્ડર કાર્લિલેને ભારતે દિલ્હી એરપોર્ટ પરથી જ પરત તેના દેશ રવાના કરી દીધા છે. બ્રિટનના ટોચના વકીલોમાંના એક એવા અને સાંસદ લોર્ડ એલેક્ઝેન્ડર વિમાન દ્વારા બુધવારે સવારે દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જોકે, ભારતે તેમને દેશમાં આવવા માટે પ્રવેશ આપ્યો ન હતો અને જેના કારણે તેમને એરપોર્ટ પરથી પોતાના સ્વદેશ પરત ફરવું પડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટનના સાંસદ એવા લોર્ડ એલેક્ઝેન્ડર બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા જિયાના કાયદાકીય સલાહકાર છે. ખાલિદા જિયા હાલમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકાની જેલમાં બંધ છે. ત્રણ વખત બાંગ્લાદેશના વડાંપ્રધાન રહી ચૂકેલાં 72 વર્ષીય ખાલિદા જિયાને આ વર્ષે ફેબ્રુઆરીમાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા જિયાને ‘જિયા ઓફનેઝ ટ્રસ્ટ’ને આપવામાં આવતા અઢી લાખ ડોલર વિદેશ ફંડમાં કૌભાંડના આરોપમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
આ કેસના મામલાને લઈને લોર્ડ એલેક્ઝેન્ડર બુધવારે નવી દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં તેમના માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ખાલિદ જિયા પર લાગેલા આરોપ અંગે આંતરરાષ્ટ્રીય મીડિયાને સંબોધન કરવાના હતા.
માન્ય વિઝા ન હોવાના કારણે પરત મોકલાયા
નવી દિલ્હી આવી પહોંચેલા બ્રિટનના સાંસદ લોર્ડ એલેક્ઝેન્ડર પાસે માન્ય વિઝા ન હોવાને કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, ભારતમાં તેમની પ્રવૃત્તિ તેમણે વિઝા અરજીમાં લખેલા ઉદેશ્યથી વિરુદ્ધની હતી. આ માટે તેમને ભારતમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક વકીલ તરીકે લોર્ડ એલેક્ઝેન્ડરને ઢાકામાં પ્રવેશ કરવા અંગે મનાઈ છે. આ માટે જ તેઓ ભારતમાં પ્રેસ કોન્ફરન્સ કરવા માંગતા હતા. જેના કારણે તેઓ ખાલિદા જિયાના કેસમાં રહેલી ગૂંચવણો અંગે આંતરરાષ્ટ્રીય મીડિયાને જણાવી શકે.
અત્રે નોંધનીય છે કે પૂર્વ વડાંપ્રધાન ખાલિદા જિયા પર ત્રણ ડઝન જેટલા ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ અંગે બાંગ્લાદેશની નેશનાલિસ્ટ પાર્ટીનું કહેવું છે કે તેમને અને તેના પરિવારને રાજકારણમાંથી દૂર રાખવા માટે એક ષડયંત્ર રચવમાં આવ્યું છે. આ ષડયંત્રના ભાગરૂપે જ તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.