પેશાવર,
શુકવારે પાકિસ્તાન બે આતંકી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું છે, જ્યાં બે અલગ અલગ બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં કુલ ૩૭ લોકોના મોત થયા છે.
સૌપ્રથમ કરાચીના ક્લિફ્ટોન વિસ્તારમાં સ્થિત ચીનની એમ્બેસીની બહાર આતંકી હુમલામાં કુલ ૫ લોકોના મોત થયા હતા. ત્યારે હવે પખ્તુનખ્વાના હંગુ શહેરમાં એક બજારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ૩૦થી વધુ લોકોના મોત થયા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, કબિલાઈ જિલ્લાના ઔરકજઈ જિલ્લાના કલાયા વિસ્તારમાં સ્થિત જુમા બજારમાં આ વિસ્ફોટ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા શુક્રવાર સવારે અંદાજે ૯.૩૦ વાગ્યે કેટલાક લોકો હાથમાં હેન્ડ ગ્રેનેડ અને હથિયાર લઈને દૂતાવાસની બહાર ફાયરિંગ કરી રહ્યા હતા. આ લોકો ચીની એમ્બેસીમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા.
આ ઘટનામાં પાકિસ્તાન પોલીસના બે કર્મીઓના મોત થયા છે, જયારે ૩ હુમલાવરને ઠાર કરવામાં આવ્યા છે. બીજી બાજુ આ આતંકી હુમલા બાદ પાકિસ્તાન રેન્જર્સ અને કરાચી પોલીસના જવાનો દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે.