નવી દિલ્હી,
દેશની સૌથી મોટી સરકારી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર કૌભાંડી નીરવ મોદીએ હવે બ્રિટનમાં રાજકીય આશ્રય માંગ્યો છે. નીરવ મોદીના આ રાજકીય શરણનો દાવો બ્રિટનના એક ટોચના અખબારે કર્યો છે.
બ્રિટીશ મીડિયાના અહેવાલ પ્રમાણે, PNB સ્કેમના મુખ્ય કૌભાંડી નીરવ મોદીએ રાજકીય સતામણીની હવાલો આપતા બ્રિટનમાં રાજકીય આશ્રય માંગ્યો છે.
આ અખબાર દ્વારા દાવો કરાયો છે કે, ભારત અને બ્રિટનના અધિકારીઓએ પૃષ્ટિ કરી છે કે નિરવ મોદી બ્રિટનમાં પુષ્ટિ છે.
નીરવ મોદીના બ્રિટનમાં હોવા અંગે જયારે સમાચાર એજન્સી રોયટર્સ દ્વારા બ્રિટનના ગૃહ મંત્રાલયનો સંપર્ક કરાયો ત્યારે તેઓ દ્વારા વ્યક્તિ વિશેષની માહિતી આપતા નથી એવું કહેતા માહિતી આપવા અંગે ના પાડી હતી.
જો કે બ્રિટન સ્થિત ભારતીય દૂતાવાસને પણ આ મામલે કોઈ પણ જાણકારી નથી. બીજી બાજુ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફાઈનન્શિયલ ટાઈમ્સને જણાવ્યું, ભારત સરકાર પોતે આ માહિતી અંગે રાહ જોઈ રહી છે. દેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા નીરવ મોદીને પરત લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે, કૌભાંડી નીરવ મોદી ઉપરાંત વિજય માલ્યાને પણ બ્રિટનથી પાછા લાવવા માટે દબાણ છે. જો કે આ પહેલા ભારત સરકાર દ્વારા નીરવ મોદીનો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે તેમજ તેઓ વિરુધ લુકઆઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી છે.
સેન્ટ્રલ એજન્સી દ્વારા PNB સ્કેમના ૨૫ લોકો વિરુધ દાખાલ કરાયા છે કેસ
પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૩૦૦૦ કરોડ રૂપિયાના ગોટાળા બાદ પોલીસ તેમજ સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા ૨૫ લોકો સામે ચાર્જ ફાઈલ કરાયા છે. જેમાં મુખ્ય કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસી, PNB બેન્કના પૂર્વ ચીફ ઉષા અનંત સુબ્રમણ્યમ, બે બેન્કના ડાયરેકટર તેમજ નીરવ મોદીની કંપનીના ત્રણ લોકો શામેલ છે.