સાઉદી અરબે સોમવારે જણાવ્યું કે તેઓ રિયાધમાં કેનેડાના રાજદૂતને પાછા મોકલી દીધા છે અને ટોરોન્ટોમાં રહેલા પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. સાઉદીએ કેનેડા સાથે નવા વ્યાપાર અને રોકાણ પર રોક લગાવી દીધી છે. સાઉદીએ આ પગલું કેનેડાની એક અપીલ બાદ ઉઠાવ્યું હતું, જેમાં કેનેડાએ રિયાધમાં ધરપકડ કરાયેલા નાગરિક અધિકાર કાર્યકર્તાને છોડી મુકવાની માંગ કરી હતી. સાઉદી અરબે કેનેડાની આ માંગને એમના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ગણાવ્યો હતો.
સાઉદીએ કેનેડાના રાજદૂતને દેશ છોડવા માટે 24 કલાકનો સમય આપ્યો છે. સાઉદીનું આ પગલું શેહઝાદા મોહમ્મદ બિન સલમાનની આક્રમક વિદેશનીતિનો નમૂનો માનવામાં આવી રહ્યું છે. હાલમાં સાઉદી અરબે કઠોર કાર્યવાહી કરતા કેટલાક નાગરિક અધિકાર કાર્યકર્તાઓને જેલમાં નાખી દીધા હતા. કેનેડાએ આ કાર્યકર્તાઓને તરત જ છોડી મુકવાની માંગ કરી હતી.
સાઉદીના વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું કે કેનેડાનો સાઉદી અરબના આંતરિક મામલાઓમાં સ્પષ્ટ હસ્તક્ષેપ છે. અમે ઘોષણા કરીએ છીએ કે કેનેડામાં સાઉદીના રાજદૂતને પરામર્શ માટે બોલાવી રહ્યા છીએ. આ સાથે કેનેડાના રાજદૂતને આવતા 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપીએ છીએ. ઉપરાંત સાઉદી અરબે એવી પણ ઘોષણા કરી કે કેનેડા સાથે બધા નવા વ્યાપાર અને લેણદેણ પર હાલમાં રોક લગાવી દેવામાં આવશે.
જણાવી દઈએ કે ગયા અઠવાડિયે કેનેડાએ કહ્યું હતું કે તેઓ સાઉદીમાં મહિલાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડની નવી લહેરના કારણે ખુબ ચિંતિત છે.