ઈસ્લામાબાદ,
સિંધુ નદી પર વિવાદિત ડેમ પ્રોજેક્ટ માટે ફંડ મેળવવું પાકિસ્તાન માટે મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે આ ફંડ મેળવવા હવે પાકિસ્તાને ભારત વિરુદ્ધ માહોલ ઉભો કરવા નવી ચાલ રમી છે. તેણે રાષ્ટ્રહિતની વાત કરી પોતાના દેશમાં ભારત સાથે ૧૯૬૫માં થયેલ યુદ્ધની જેમ લોકોમાં ઝનુન પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સિંધુ નદી પર પ્રસ્તાવિત આ ડેમનો ભારત વર્ષોથી વિરોધ કરતું આવ્યું છે, જેના કારણે પાકિસ્તાનને આ ડેમ બનાવવા આંતરરાષ્ટ્રીય સ્તર પરથી કોઈ ફંડ પણ મળી રહ્યો નથી. ત્યારે હવે પાકિસ્તાનની સેનાએ ફંડ મેળવવા નવી ચાલ રમી છે.
પાકિસ્તાન દ્વારા આ માટે પબ્લિક ફંડ ઉભો કરવાનો આદેશ આપ્યો છે. એટલુ જ નહીં ફંડ મેળવવાની સમગ્ર પ્રક્રિયાને ભારત સાથેના યુદ્ધ સાથે જાડી છે. પાકિસ્તાનના ચીફ જસ્ટીસે પોતે આ ડેમ માટે ૧૦ લાખ પાકિસ્તાની રુપિયાનુ દાન કર્યુ છે.
પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ પોતાનો એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઉભા કરેલ માહોલનુ પરિણામ એ છે કે, આ ડેમ માટે એક જ દિવસમાં ૫ કરોડનો ફંડ આવ્યો છે. આ માટે આર્મી અને સુપ્રીમ કોર્ટના જ કર્મચારીઓ જ નહીં પણ પૂર્વ ક્રિકેટર શહિદ અફ્રિદી જેવી ટોચની હસ્તીઓ અને કેટલીક ખાનગી સંસ્થાઓ પણ મદદ કરી રહી છે. પાકિસ્તાન સેનાદળના અધિકારીઓએ પોતાના બે દિવસનો પગાર ફંડ માટે દાન આપ્યો છે. જ્યારે તમામ જવાનો માટે આ પ્રોજેક્ટ માટે એક દિવસનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરાઈ છે.