ધોલાઈ બંદરનાં અશ્વિન ટંડેલની સાહસિકતા અને સિદ્ધિઓને રન એન્ડ રાઈડર ગૃપનાં ધર્મેશ પટેલે આનંદ સાથે આવકારી
‘ઘટમાં ઘોડા થનગને’ એ ઉકિતને સાકાર કરવાનો તરવરાટ ધરાવતા અશ્વિન ટંડેલે હાલમાં સાયકલિંગ અને દોડમાં વધુ કુશળ અને સક્ષમ બનવા રોજ પારનેરા ડુંગર ચઢ-ઉતર કરવાની સાહસિક કવાયત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવાને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 21 કિમી દોડમાં ભાગ લીધો હતો ત્યારબાદ હાલ 2021માં કચ્છના સફેદ રણમાં 25 કિમી દોડ પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જેને રન એન્ડ રાઈડર ગૃપના ધર્મેશ પટેલ (ઓલપાડ) સહિતના સભ્યોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
હાલની કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિનો ઉલ્લેખ કરી અશ્વિનકુમારે પોતાની દિનચર્યા વર્ણવતા સંવાદદાતાને જણાવ્યું હતું કે મારા નજીકના અને માનીતા પારનેરા ડુંગર પર હાલમાં ચાલી રહેલ કપરા સમયમાં નકારાત્મક સમાચારો અને ખબરોથી અલિપ્ત અને સ્વાસ્થ્યપ્રદ રહેવા મારી સાઈકલ લઈ હું સૂર્યોદય પહેલ પહોંચીને કુદરતી સાંનિધ્યમાં રહેવાનો અદ્ભૂત લ્હાવો મેળવું છું. અહીં મન એકદમ શાંત થઈ જાય છે અને તેમાં હકારાત્મક વિચારો આકાર લેવા માંડે છે. આ મહામારીએ લોકોને જ્યારે પ્રકૃતિ અને આરોગ્ય તરફ વાળ્યા છે ત્યારે અહીંની તમારી એકવખતની મુલાકાત અવિસ્મરણીય બની રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે આધ્યાત્મ, પ્રકૃતિ, તંદુરસ્તી તેમજ સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમા આ સ્થળનો પરિચય કેળવવા તેની એક જ મુલાકાત પૂરતી છે. અરબ સાગર સાથે વાતો કરતો આ ડુંગર વલસાડ જિલ્લાની શોભા , ઓળખ અને પ્રતિભા છે જેણે લોકોને કોરોના મહામારી વચ્ચે તંદુરસ્તી બક્ષી છે.