ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય અને તેમના શિર પર સદાય શોભતું મોરપીંછ જોવામાં ઘણું મનમોહક છે તેજ આ મોરપીંછનું મહત્વ વાસ્તુમાં પણ અદકેરું છે. ઘરમાં મોરપીંછ રાખવાથી ઘણા ફાયદા થાય છે . ઘણા વિદ્યાર્થીઓ જાણે અજાણે તેમની નોટબુકમાં મોરનું પીછું રાખતા હોય છે તો ઘણા બાળકો અને વડીલો પણ મોરના પીંછાની રંગોથી આકર્ષાઇને તેને ઘરમાં રાખવાનું પસંદ કરે છે તો ચાલો આજે જાણીએ મોરપીંછ રાખવાના અવનવા ફાયદા
તમે તમારા પૂજા સ્થળમાં બે મોરપીંછ રાખશો તો પતિ –પત્ની વચ્ચે ક્યારેય અણબનાવ નહીં થાય અને પરસ્પર ખટરાગ હશે તે પણ દૂર થઈ જશે.
જો ઘરમાં પંચતત્વનો યોગ્ય ઉપયોગ નથી થતો અને તેના કારણે નકારાત્મક ઉર્જા અનુભવાતી હોય તો પૂજાઘરમાં 5 મોરપીંછ મૂકી દેવા,તેનાથી તમને ઝડપથી ફાયદો મળશે.
તમારા ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ, ઉત્તર કે ઇશાન દિશામાં નથી અને મુખ્યદ્વાર પર વાસ્તુદોષ લાગતો હોય તો તમારા દરવાજા કે ચોખટ પર બેઠેલી મુદ્રાના ગણેશજી મૂકીને તેમની પર ત્રણ મોરપીંઠ લગાવી દેવા. તેનાથી ઘરના મુખ્ય વાસ્તુદોષમાં સુધારો થશે.
મોરપીંછનો પંખો તો તમે બજારમાં જોયો જ હશે. 7કે 9 પીંછાનો મોરપીંછવાળો પંખો તમે પૂજા સ્થાનમાં રાખી દો. આ પંખો શુક્લ પક્ષમાં જ પૂજાઘરમાં મૂકવો અને ત્યાં એક અઠવાડિયું રાખ્યા બાદ આ મોરપીંછનો પંખો તમારા બેડરૂમમાં બેડની પાછળની બાજુએ આવતી દિવાલે મૂકવો. આ રીતે સજાવટ કરવાથી પતિ –પત્ની તેમજ બાળકો વચ્ચે સારો મનમેળ રહે છે.
જો હઠીલી બિમારી તમારો પીછો નથી છોડતી તો ગુરૂવારે એક મોરપીંછ તમારી મેડિકલ ફાઇલમાં રાખી દો. થોડા સમયમાં તમને તેનું સકારાત્મક પરિણામ જોવા મળશે.
તમારું ઘર મોટું છે અને ઘરમાં સંયુક્ત પરિવાર રહે છે તો 11 કે 15 મોરપીંછ વાળો પંખો ઘરના ડ્રોઇંગ રૂમમાં લગાવી દો. તેના કારણે પરિવારમાં સુમેળ જળવાઈ રહેશે.
જયાં મોરના પીંછા હોય છે ત્યાં કીડી-મકોડા, ગરોળી, વંદા નથી આવતા જે ઘરની સ્વચ્છતા તેમજ ઉર્જા માટે જરૂરી છે. ઘરના આગ્નેય કોણમાં એટલે કે દક્ષિણ –પૂર્વ દિશામાં તમારી કમર કરતાં ઉંચાઇ પર બે મોરપીંછ શુક્લ પક્ષમાં લગાવાવ જેથી ધન પ્રાપ્તિના નવા અવસર મળશે.
ઘરમાં નવજાત બાળક હોય છે રાત્રે ઉઠીને કે ડરીને રડતું હોય તો તેના માથા નીચે એક મોરપીંછ મૂકી દેવું. તેનાથી બાળક ચોંકવાનું અને ડરવાનું બંધ કરી દેશે.
જોકે મોરપીંછના ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખવું કે મોરપીંછ તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ, નહિતર તેના ધાર્યા અને યોગ્ય પરિણામ નહીં મળે.