સ્થાનિક ટીવી ચેનલના પત્રકાર શાંતનુ ભૌમિકની અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભૌમિક પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં ઈન્ડીજિનસ પિપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી) દ્વારા ચલાવવામાં આવતા આંદોલનનુ કવરેજ કરી રહ્યો હતો. તે દરમિયાન તેનુ અપહરણ થયુ હતું,
સ્થાનિક પોલીસ અધિક્ષક અભિજીત સપ્તર્ષીએ જણાવ્યુ હતું કે દિન-રાત ન્યુઝચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા શાંતનુ ભૌમિક મંડઈમાં આઈપીએફટી દ્વારા કરવામાં આવેલ ચક્કાજામ અને આંદોલનનુ કવરેજ કરી રહ્યો હતો. તે દરમિયાન તેની પાછળથી હુમલો કરાયો હતો અને તેનુ અપહરણ કરાયુ હતું.
તેના શરીર પર ચપ્પાવડે હુમલો કરાયો હતો. જેથી તેને તાત્કાલિક અગરતલા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મંડઈમાં આંદોલનને લઈ સ્થિતિ પહેલાથી જ કફોડી બનેલી છે. સમગ્ર વિસ્તારમાં કલમ-૧૪૪ લાગુ કરવામાં આવેલી છે.