કોરોના કાળમાં લોકોના એકઠા થવા પર પાબંદી છે. ત્યારે ગાંધીનગરના એક યુવાને ગાંધીનગર SP પાસે અનોખી માંગ કરતો પત્ર લખ્યો છે. ગાંધીનગરના યુવાને SP પાસે મોટી સંખ્યામાં કાર, બાઇક સાથે રેલીની મંજૂરી માંગી છે.
રેલીની મંજૂરી સુધી તો વાત બરાબર છે. પરંતુ આ રેલી કાઢવા પાછળનો ઉદેશ્ય જાણીને આપ જરૂરથી ચોંકી જશો. આ યુવકને 3 જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો છે. તડીપાર થયા બાદ તેની ઉજવણી કરવા રેલીની મંજૂરી માંગી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં કાર, બાઇક સાથે રેલી ની મંજૂરી માંગી રહ્યો છે. અને જો ભાજપના કમળ સાથે મંજૂરી મળતી હોય તો તે રીતે પણ મંજૂરી આપવા માંગ કરી છે.
પ્રપાત વિગતો અનુસાર તડીપાર મહિપતસિંહ ચૌહાણ દ્વારા ગાંધીનગર SP પાસે મંજૂરી માંગવામાં આવી છે. તેને અરજીમાં લખ્યું છે કે, મારા પરની 3 ફરિયાદના આધારે મને ખેડા જિલ્લા પ્રશાસન દ્વારા 6 જિલ્લામાંથી 6 મહિના માટે તડીપાર કર્યો છે. જેની ખુશીની ઉજવણી માટે મારા સમર્થકો એક મોટી બાઈક અને કાર રેલી કરી મારૂ બહુમાન કરવા ઈચ્છે છે તો આ માટેની પરવાનગી વગેરે બાબત…
ગાંધીનગરના જિલ્લા પોલીસ વડા સમક્ષ આ પત્ર થકી હું સર્વ સમાજ સેનાનો મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ આપ સાહેબ પાસે પરવાનગી માંગવા આવ્યો છુ. આ સાથે આપને જણાવવાનું કે, હું મૂળ ખેડા જિલ્લાનો વતની છુ. ખેડાના વસો તાલુકાના લવાલ ગામનો પૂર્વ સરપંચ પણ છુ. ખેડા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતુ હોય મે સોશિયલ મીડિયા થકી તેની સામે અવાજ ઉઠાવી મોટી સંખ્યામાં કર્મચારીઓને ન્યાય અપાવ્યો છે. જેનાથી પ્રભાવિત થઈ ખેડા જિલ્લાના પ્રશાસન દ્વારા મારુ બહુમાન કરતા મને 188ની 3 ફરિયાદોના આધારે ખેડા જિલ્લા સહિત અન્ય 5 જિલ્લામાંથી તડીપાર કર્યો છે. ત્યારબાદ ગાંધીનગર મારી કર્મભૂમિ બની છે.
તંત્રના આ બહુમાનને આવકારતા મારા સામાજિક સંગઠન સર્વ સમાજ સેનાના હજારો કાર્યકર્તાઓ મારુ બહુમાન કરવા માટે આગામી 4 તારીખે ગાંધીનગરમાં બાઈક અને કાર રેલીનું આયોજન કરી મારૂ સન્માન કરવા ઈચ્છે છે. ત્યારે આપ સાહેબને આ અરજી થકી હું મહિપતસિંહ ચૌહાણ આ રેલીને મંજૂરી આપવા માટે રજૂઆત કરૂ છુ. આ સાથે જો રેલી કાઢવા માટે મારા વિરૂદ્ધ 107 કેસ હોવા જરૂરી હોય તો હું 107 કેસ મારા વિરૂદ્ધ થાય તે માટેની મહેનત શરૂ કરી દેવા તૈયાર છુ.
વધુમાં તડીપાર મહિપતસિંહ ચૌહાણે લખ્યું છે કે, આ રેલી કરવા માટે જો કમળના સિમ્બોલ સાથે રાખવા પડે તેવી ફરજ હોય તો અમારા સંગઠનના કાર્યકર્તાઓ કમળના સિમ્બોલ પણ સાથે રાખવા માટે તૈયાર છે. કારણ કે, હાલ અમારી જાણકારી મૂજબ કોઈ પણ પ્રકારની રેલી કે જાહેર કાર્યક્રમોને તાત્કાલિક મંજૂરી મળતી નથી. પરંતુ જો કમળના સિમ્બોલ થકી કાર્યક્રમ કરવા માટે મંજૂરી માંગવામાં આવે તો સરળતાથી મંજૂરી મળી જાય છે.
જેનુ તાજુ ઉદાહરણ સુરતમાં સી.આર. પાટીલ નામના વ્યક્તિ દ્વારા કાર રેલીનું આયોજન છે.
વળી, અમે એવુ પણ સાંભળ્યુ છે કે, કમળના સિમ્બોલ સાથે ભીડ એકત્રિત થાય તો 188ની કલમ પણ લાગુ પડતી નથી. જેથી આપ સાહેબ જો કમળના સિમ્બોલને સાથે રાખવા માટે જણાવશો તો અમે તે સાથે રાખવા માટે પણ તૈયાર છે.
વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.