ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં થોડા સમય પહેલા જ એક જોદરાદ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં 16 જણાના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં એક પાકિસ્તાની પોલીસ જવાનનો પણ સમાવેશ થાય છે. આ વિસ્ફોટ ત્યારે કરવામાં આવ્યો જ્યારે ત્યાંથી પોલીસ વાન પસાર થઈ રહી હતી. આ સ્થળે ઘણી ભીડ હતી તેથી મૃતકો તેમજ ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
બોમ્બને શાકમાર્કેટમાં બટાકાની બોરીઓ વચ્ચે સંતાડીને રાખવામાં આવ્યો હતો. પાકિસ્તાનના પોલીસ અધિકારી અબ્દુર રઝાક ચીમાએ સ્થાનિક માધ્યમોને જણાવ્યું કે બોમ્બ વિસ્ફોટ રહેણાંક વિસ્તાર પાસે થયો હતો જ્યાં મોટી સંખ્યામાં હઝારા સમુદાયના લોકો રહે છે. હુમલાનો હેતુ હઝારા સમુદાયના અલ્પસંખ્યક શિયા મુસલમાનને નિશાન બનાવવાનો હતો. આ વિસ્ફોટમાં પાકિસ્તાની સેનાના ચાર જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે.
વિસ્ફોટ અંગે જાણ થતા જ પાકિસ્તાની પોલીસ, સેના અને ગુપ્તચર એજન્સી સહિત બધા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિસ્ફોટનું કારણ હજું સુધી જાણવા મળ્યું નથી. જોકે સમગ્ર વિસ્તારને તપાસ માટે કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાના હઝારાજંગી વિસ્તારમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા અલપ્સંખ્યક શિયા મુસલમાનની સંખ્યા મોટા પ્રમાણમાં છે વિસ્ફોટને કારણે આસપાસની ઇમારતોને પણ ઘણું નુકસાન થયું છે. નજરે જોનારાના જણાવ્યા પ્રમાણે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે અહીંથી પોલીસની વાન પણ પસાર થઈ રહી હતી. નોંધનીય છે કે પાકિસ્તાનમાં શિયા સુન્ની સમુદાય વચ્ચે અવારનવાર ખૂની સંઘર્ષની ઘટના બનતી હોય છે.