સુરતમાં ભાજપના કાઉન્સિલર પર ફાયરીંગ કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા હતા. સુરતના વરાછામાં ભાજપના કાઉન્સિલર ભરતભાઈ મોના ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે કુલ બે આરોપીઓની ધરપકડ કરી હતી. જગદીશનગરના ઝોપડાની કરોડોની જમીનના વિખવાદમાં આ ફાયરીંગ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે.ધરપકડ કરાયેલા બે આરોપીઓ પૈકી એક આરોપીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયરીગમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતના વરાછા વિસ્તારના ભાજપના કાઉન્સિલર ભરત મોના ઉપર ગત સોમવારે રાત્રે વરાછાની વર્ષા સોસાયટી ખાતે આવેલ પોતાની ઓફિસથી ઘરે જતી વખતે ફાયરિગ કરવામાં આવ્યુ હતું. આ બનાવમાં પોલીસે તપાસ કરતાં જમીનના એક વિવાદમાં ફાયરીંગ થયું હોવાની વિગત પોલીસને મળી હતી. પોલીસે આ દિશામાં તપાસ શરુ કરી હતી.
આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS પણ તપાસમાં જોતરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે વરાછાના હિસ્ટ્રીશીટરની અટકાયત કરી પુછપરછ કરવા સાથે કાઉન્સિલર અને તેમના ભાઈની પણ પુછપરછ કરી હતી. તેમણે ત્રણેક બાબતો અંગે આશંકા વ્યક્ત કરતા તપાસ તે દિશામાં કેન્દ્રીત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું કે વરાછાના જગદીશ નગર ખાતે આવેલ એક જમીન પર છેલ્લા કેટલાક સમયથી નરેશ માલસુરભાઇ ધગલ ગેરકાયદેસર રીતે છેલ્લા કેટલાક વર્ષોથી કબ્જો જમાવીને બેસેલ છે. આ જમીને લઈને વિવાદ ચાલે છે ત્યારે પોલીસે આ મામલે નરેશ સાથે આઠ લોકોની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મોડીરાત્રે પશુપાલકનું કામ કરતા નરેશ માલસુરભાઇ ધગલ અને વિજયદાન દાદાભાઈ ગઢવીની ધરપકડ કરી હતી.
સમગ્ર ઘટનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં વિજયદાન દાદાભાઈ ગઢવી નામના આરોપીનો કોરોના રીપોર્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા બે શૂટરો તથા તેને લાવનાર જીતુ નિશાદને પકડવાના પોલીસે ચક્રોગતિમાન કર્યા છે તેમજ આ ગુનામાં અન્ય કોઈ ઇસમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
સંજય મહંત, મંતવ્ય ન્યુઝ, સુરત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.