અમદાવાદ
CBI લાંચકાંડ મામલે CBI ના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને હાલ રજા પર મોકલી દેવાયા છે. ત્યારે આ પાછળ વધુ એક ખુલાસો સામે આવ્યો છે. વડોદરાના કૌભાંડી સાંડેસરા બંધુઓ સાથેના રાકેશ અસ્થાનાના સંબંધો જવાબદાર હોઈ તેમનું પતન થયું હોવાની અટકળો વહેતી થઈ છે.
મહત્વની વાત છે કે, સાંડેસરા બંધુઓએ પોલીસ કમિશ્નર કચેરીનું રિનોવેશન કરાવી આપ્યું હતું. એટલું જ નહીં સાથો સાથ સ્ટર્લિંગ ગ્રૂપની તકતી પણ લટકાવામાં આવી હતી. તો સાંડેસરાએ પોતાની કંપનીમાં રાકેશ અસ્થાનાના પુત્રને પણ નોકરી આપી છે.
તો બીજી તરફ, સાંડેસરા ગ્રૂપ વિરૂદ્ધ રૂ. 5 હજાર 383 કરોડના કૌભાંડમાં પણ ગુનો નોંધાયો છે. જેમાં રાકેશ અસ્થાના પર પણ આરોપ લાગ્યા હતા. સાંડેસરા ગ્રૂપની ડાયરીમાં અસ્થાના અને તેમના પુત્રની એન્ટ્રી પણ સામે આવી હતી.
રૂ. 3.88 કરોડ રાકેશ અસ્થાનાને ચૂકવ્યા હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાકેશ અસ્થાના લાંચકાંડના આરોપસર રજા પર છે અને સાંડેસરા બંધુઓ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે.