યુનેસ્કોએ મેટ્રો સિટી અમદાવાદને વર્લ્ડ હેરિટેજનો દરજજાે આપ્યો છે,ઐતિહાસિક શહેરને જોવા અનેક પ્રવાસીઓ દેશ-વિદેશથી આવે છે એમાં પણ અમદાવાદની શાન એવી સિદી સૈયદની જાળી જગ વિખ્યાત પામેલી છે તેને જોવા માટે અનેક દેશના રાષ્ટ્રપતિ સહિત રાજકીય નેતાઓ આવે છે જેના લીધે આ હેરિટેજને વિકસાવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે.
અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સિદી સૈયદની જાળી આખા જગમાં વિખ્યાત છે. દેશ-વિદેશના લોકો અને અનેક દેશના રાષ્ટ્રપતિથી લઈ મહાનુભાવો સિદી સૈયદની જાળી જોવા માટે અમદાવાદ આવી ચૂક્યા છે, ત્યારે 450 વર્ષથી વધુ જૂની સિદી સૈયદની જાળીનો પ્રવેશ દ્વાર બદલવામાં આવશે. સિદી સૈયદની જાળીને અડીને આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગાર્ડન ડેવલપ પણ કરવામાં આવશે. આમ રૂ.2 કરોડના ખર્ચે વર્લ્ડ હેરિટેજ સ્મારક સિદી સૈયદની જાળી અને તેના આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશ દવે કહ્યું હતું કે, અમદાવાદ શહેરની ઓળખ અને વર્લ્ડ હેરિટેજ સ્મારક સિદી સૈયદની જાળીને જોવા માટે દેશ-વિદેશથી અનેક લોકો આવતા હોય છે. પ્રવાસીઓ સિદી સૈયદની જાળી જોવા આવે ત્યારે જો મસ્જિદમાં નમાજનો સમય થયો હોય તો પ્રવાસીઓને બહાર ઊભું રહેવું પડે છે. મહિલાઓ અંદર સુધી જઈ શકતી નથી, જેના કારણે સિદી સૈયદની જાળી નજીકથી જોવા મળતી નથી. આ પ્રકારની કેટલીક બાબતો ધ્યાને આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિદી સૈયદની જાળી લોકો વ્યવસ્થિત રીતે જોઈ શકે તેના માટે આસપાસના વિસ્તારને વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.