ગાંધીધામઃ દેશભરમાં અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે 5 દિવસ પૂર્ણ થતા કેટલાક લોકો વિસર્જન કરવા લાગ્યા છે. ગણેશ વિસર્જન દરમ્યાન સરકાર અને સ્થાનિક તંત્રની સ્પષ્ટ સુચના છતાં તળાવો-ડેમોમાં ગણેશ વિસર્જન દરમ્યાન ડૂબવાના બનાવો બનતા હોય છે. ત્યારે શનિવારે કચ્છમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીધામના આદિપુરના અંતરજાળ ગામે આવેલા હનુમાન મંદિર પાસેના તળાવમાં ગણેશ વિસર્જન દરમ્યાન દુર્ધટના સર્જાઇ હતી. જેમાં ગણેશ વિસર્જન દરમ્યાન 5 લોકો તળાવમાં ડુબ્યા હતા. તેમાંથી 3 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બે લોકો સારવાર હેઠળ છે. ત્રણ લોકો નજર સમક્ષ જ ડૂબતા પરીવારમાં શોકનું મોજુ ફેલાયુ છે.
સ્થાનિક લોકોએ તથા ફાયર વિભાગ દ્વારા તળાવમાં ડૂબેલા પાંચેય લોકોને બચાવવા પ્રયત્નો કરાયા હતા. પરંતુ ત્રણ લોકોના ડુબી જવાથી મોત થયા હતા. મૃતક તમામ સ્થાનિક જ હોવાનું આદિપુર પોલીસના તપાસ અધિકારીએ જણાવ્યું હતું. ડૂબી જતાં અશોક પાલ ઉં.વ.48, કિશોર સાંખલા ઉં.વ.48, સાહિલ આસિસ પાલ ઉં.વ.15ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તહેવારો સમયે 3 યુવાનના ડુબવાની ઘટનાથી કચ્છ પંથકમાં અરેરાટી પ્રસરી છે.