Rajkot Wockhardt Hospital Doctor Reel Controversy: સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યૂઝ મેળવવાની લ્હાયમાં હવે માનવતા અને વ્યાવસાયિક નૈતિકતા નેવે મુકાઈ રહી હોય તેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. શહેરની નામાંકિત વોકહાર્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા ન્યૂરોસર્જન ડો. જિગરસિંહ જાડેજાએ ઓપરેશન થિયેટર (OT) ની અંદર એક કોમેડી રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી, જેને લઈને હવે મોટો વિવાદ છેડાયો છે.

Wockhardt Hospital : શું હતું રીલમાં?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ રીલમાં ડોક્ટર રમૂજ કરતા કહે છે કે, “લોકોમાં જરાય સિવિક સેન્સ નથી, કોઈ બંદો ઓપરેશન થિયેટરમાં રીલ બનાવી રહ્યો છે અને પાછળથી આવીને ઓપરેશન શરૂ કરી દે છે.” વીડિયોમાં પાછળ અન્ય સ્ટાફ મેમ્બર્સ પણ હસતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલો
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે આ વીડિયો જાહેર કરતા સવાલ ઉઠાવ્યો છે કે, “જ્યારે દર્દી બેભાન હોય અને ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોય, ત્યારે શું ઓપરેશન થિયેટર હવે સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવાનું સ્થળ બની ગયું છે?” કોંગ્રેસે આને વ્યાવસાયિક જવાબદારીની ગંભીર બેદરકારી ગણાવી છે.
વિવાદ વધતા જ વિડીયો ડિલીટ, હોસ્પિટલનું મૌન
સોશિયલ મીડિયા પર લોકોનો રોષ અને વિવાદ વકરે તે પહેલા જ ડો. જિગરસિંહ જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી આ રીલ ડિલીટ કરી નાખી હતી. આ સમગ્ર મામલે જ્યારે વોકહાર્ટ હોસ્પિટલના PRO નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે મેનેજમેન્ટ વતી કંઈપણ કહેવાનો ઈનકાર કરી મૌન સેવી લીધું હતું.
શું કહે છે આરોગ્ય અધિકારી?
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ બાબતે જણાવ્યું કે, “વીડિયોમાં દર્દી કે ઓપરેશન કરનારની ઓળખ જાહેર થતી નથી અને દર્દી એનેસ્થેસિયાના ડોઝ હેઠળ છે, પરંતુ એક ડોક્ટર તરીકે નૈતિકતાની દ્રષ્ટિએ ઓપરેશન થિયેટરમાં આવી રીલ બનાવવી જોઈએ નહીં.”
