Today Special: માનવ જીવનના સૌથી મહત્વપૂર્ણ લક્ષ્યો પૈકીનું એક સુખ અને સંતોષને માનવામાં આવે છે. ખુશી ઘણી વખત નાની-નાની બાબતોમાં છૂપાયેલી હોય છે. આ જ સંદેશ સાથે ‘આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ’ (International Day of Happiness 2026, 20 March) વિશ્વભરમાં ઉજવાય છે.
‘આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ’ (International Day of Happiness 2026)નો ઉદ્દેશ્ય
આધુનિક જીવનની વ્યસ્તતા વચ્ચે ખુશી શું છે? અને તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? દાખલા તરીકે, એક પાર્કમાં બાળકો હસી-ખુશી રમતા દેખાઈ રહ્યા છે, કોઈ ઝૂલામાં ઝૂલે છે તો કોઈ મિત્રો સાથે રમે છે, આ નિર્દોષ સ્મિત એક મહત્વપૂર્ણ સત્યની યાદ અપાવે છે…અને એ છે, ખુશી ઘણી વખત નાની નાની બાબતોમાં છુપાયેલી હોય છે. આ જ જાગૃતિના સંદેશ સાથે ‘આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ’ વિશ્વભરમાં ઉજવાય છે
આ દિવસનો મુખ્ય હેતુ છે કે, વિકાસ માત્ર આર્થિક પ્રગતિ (Economic Progress)થી નહીં પણ લોકોની ખુશી અને સુખાકારી (Happiness)થી પણ માપવો જોઈએ. દર વર્ષે વિશ્વનો ખુશીલક્ષી રિપોર્ટ (World Happiness Report) પ્રકાશિત કરવામાં આવે છે જેમાં વિવિધ દેશોની ખુશીનું સ્તર દર્શાવવામાં આવે છે.
આ રિપોર્ટમાં આટલી બાબતો પર ફોકસ કરવામાં આવે છે…સામાજિક સહયોગ, આરોગ્ય, જીવનની ગુણવત્તા, આર્થિક સુરક્ષા તથા સ્વતંત્રતા (Social support, Health, Quality of life, Economic security and Freedom)..આ તમામ પરિબળો મળીને કોઈ પણ દેશના લોકો કેટલા ખુશ છે એ નિર્ધારિત કરવામાં આવે છે.

‘આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ’નો ઇતિહાસ (History)
આ દિવસની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UN)એ 28 જૂન વર્ષ 2012માં કરી હતી જેથી લોકોના જીવનમાં ખુશી, આરોગ્ય અને સુખાકારીનું મહત્વ સમાજ અને સરકારો સમજી શકે.
આ દિવસ મનાવવાની શરુઆત વર્ષ 2013માં થઇ હતી. વર્ષ 2011 માં યુએન એડવાઇઝર જેમ ઇલિયન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને એ જ દિવસે એને પસાર કરીને માન્યતા પણ આપવામાં આવી. ત્યારબાદ, વર્ષ 2012 માં યુએન દ્વારા હેપીનેસ વિષયક પ્રથમ જનરલ કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી જેમાં 20 માર્ચના રોજ દર વર્ષે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ તરીકે મનાવવાનું અધિકૃત રીતે માન્ય કરાયું હતુ.

ભૂટાન દેશે મૂક્યો હતો પ્રસ્તાવ
‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ’ મનાવવાનો પ્રસ્તાવ ભૂટાનના રાજા જિગ્મે ખેસર વાંગચૂક (King Jigme Khesar Wangchuck of Bhutan)એ મૂક્યો હતો. 12 જુલાઇ વર્ષ 2012 માં યુએન દ્વારા હેપીનેસ ડે મનાવવા માટેનું એક રિઝોલ્યુશન પસાર કર્યું હતુ. વાસ્તવમાં એ સમયે ભૂટાન પોતાની સરહદોને વિદેશી લોકો માટે ખુલ્લી મૂકવા જઇ રહ્યું હતુ અને ત્યાંના રાજાનું એવું મંતવ્ય હતુ કે, લોકોની ખુશી દેશની આર્થિક સ્થિતિ પર નિર્ભર નથી હોતી!

1970ના દશકામાં ભૂટાન એકમાત્ર દુનિયાનો એવો દેશ હતો જેણે જીડીપી થી વધારે લોકોની ખુશીને મહત્વ આપ્યું હતુ! આથી આજે પણ ભૂટાનમાં હેપીનેસ ઈન્ડેક્સને ઘણું મહત્વ આપવામાં આવે છે. ત્યાં જીડીપી ને હંમેશા હેપીનેસ ઈન્ડેક્સ (Happiness Index) પછી જ સ્થાન આપવામાં આવે છે. આ જ કારણે, ભૂટાન હેપીનેસ ઈન્ડેક્સમાં ટૉપ 10 રાષ્ટ્રોમાં હંમેશા પોતાની જગ્યા જાળવી રાખે છે અને એશિયાનો સૌથી પ્રસન્ન દેશ ગણાય છે.
20 માર્ચને જ આ ખુશી દિવસ તરીકે પસંદ કરવા બદલ એક ખાસ કારણ રહેલું છે અને એ છે આ દિવસ એક સમપ્રકાશીય દિવસ (Equinox) છે અર્થાત્, આ દિવસે સૂર્ય ભૂમધ્ય રેખાની બરાબર ઉપર હોય છે જેના કારણે, આ દિવસે રાત અને દિવસ એકસમાન હોય છે. આથી આ દિવસને પસંદ કરવામાં આવ્યો હતો, વર્ષનું બીજું Equinox 23 સપ્ટેમ્બરના રોજ થાય છે. આનો ગર્ભિત ફિલોસોફિકલ અર્થ સુખ-દુ:ખ એકસમાન એમ પણ કરી શકાય!

વર્ષ 2026નું થીમ
આ વર્ષ 2026નું ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ’ નું થીમ (Theme) છે,
‘Caring and Sharing’
અર્થાત્
‘સંભાળ અને વહેંચણી’

યુએન પ્રતિ વર્ષ જાહેર કરે છે હેપીનેસ ઇન્ડેક્સની યાદી
વિશ્વભરના નિષ્ણાતો માને છે કે, ખુશી કેવળ વ્યક્તિગત બાબત નથી પણ સમાજના વિકાસ સાથે પણ સંલગ્ન છે. જ્યારે લોકો આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષિત જીવન પ્રાપ્ત કરે છે ત્યારે સમાજ વધુ ખુશ અને સમૃદ્ધ બને છે. ‘આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ’નો સંદેશ પણ એ જ છે…જીવનમાં માત્ર સફળતા નહીં પરંતુ સંતોષ અને ખુશી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
આ દિવસે યુએન પ્રતિ વર્ષ હેપીનેસ ઇન્ડેક્સની યાદી જારી કરે છે. આ રિપોર્ટના માધ્યમથી જાણી શકાય છે કે કયા દેશમાં કેટલા લોકો ખુશ છે? આ દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય એક જ છે કે, દુનિયાભરના દેશોની વિભિન્ન સરકાર આના આધારે પોતપોતાના દેશના નાગરિકોના સુખ અને ખુશાલીને ધ્યાનમાં રાખતા રણનીતિ બનાવી શકે.

કયો દેશ દુનિયાનો સૌથી પ્રસન્ન દેશ છે?
દર વર્ષે 20 માર્ચના રોજ કુલ 146 દેશોનો હેપીનેસ રિપોર્ટ જાહેર કરે છે. ગત વર્ષ 2025ના રિપોર્ટ મુજબ, ભારત (India) આ ક્રમમાં 118મા ક્રમે આવ્યો હતો એ ચિંતાજનક બાબત છે. આ બાબતમાં નેપાળ અને પાકિસ્તાન ભારતથી આગળ જણાયા હતા, નેપાળ 92 મા ક્રમે અને પાકિસ્તાન 109 મા ક્રમે ભારતથી આગળ રહ્યાં હતા!
વિશ્વના સૌથી પ્રસન્ન દેશ તરીકે ફિનલેન્ડ (Finland)નું નામ પ્રથમ ક્રમાંકે જાહેર થયું હતુ. સતત આઠમા વર્ષે પણ એણે પોતાનું નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે!

ભારતમાં શું સ્થિતિ છે?
ભારતમાં પણ ખુશી અને માનસિક આરોગ્ય અંગે લોકજાગૃતિ વધી રહી છે. નિષ્ણાતોના મતે, આજના ઝડપી જીવનમાં કામનો તણાવ, ડિજિટલ તણાવ અને સ્પર્ધાત્મક જીવનશૈલી (Lifestyle & Tension) લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. એટલા માટે પરિવાર, મિત્રો અને સમાજ સાથેનો સંબંધ સ્વયંના આનંદ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
માનસશાસ્ત્રીઓના મત મુજબ, ખુશી માત્ર પરિસ્થિતિઓ પર આધારિત નથી પરંતુ એના માટે કેટલીક સરળ આદતો આપણને મદદરૂપ બની શકે છે જેમ કે, આભાર વ્યક્ત કરવો, પરિવાર સાથે સમય પસાર કરવો, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી તથા અન્ય લોકોને મદદ કરવી…આવી નાની-નાની આદતો જીવનમાં સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે.
અંતે નિષ્કર્ષ એ છે કે, આધુનિક જીવનમાં જ્યાં દોડધામ અને તણાવ વધતો જાય છે…ત્યાં ખુશી માટે નાની નાની ક્ષણોને મહત્વ આપવું જરૂરી છે. ‘આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ’ આપણને યાદ અપાવે છે કે, ખુશી ખરીદી શકાતી નથી પણ એ જીવન જીવવાની રીતમાં છૂપાયેલી છે.
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: આજે રિસાયકલ કરો…આગામી પેઢીનું ભવિષ્ય બચાવો…આજે 18 માર્ચે ‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ની વૈશ્વિક ઉજવણી..!
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
