Gandhinagar News: ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel, UP Governor) અને શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનાર પટેલે આજ રોજ શ્રી ખોડલધામ મંદિર (Shri Khodaldham Temple)ના પવિત્ર પ્રાંગણમાં પરિવારજનો સાથે પધારી મા ખોડલના ધામમાં ધ્વજારોહણનો લ્હાવો લીધો હતો.

આનંદીબેન પટેલ (Anandiben Patel) અને પરિવાર દ્વારા શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ
આજ રોજ તારીખ 25 એપ્રિલના રોજ શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનાર પટેલ (Anar Patel) અને તેઓના પરિવાર દ્વારા શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજાજીનું પૂજન કરીને વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું.

આ ધ્વજારોહણ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી (Gujarat Former CM) અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ ઉપસ્થિત રહીને મા ખોડલના દર્શન કરી શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.

ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત આનંદીબેન પટેલનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરીને સન્માન કરાયું હતું.
