ગીર સોમનાથ:
ગીર સોમનાથના વેરાવળ બંદર પર સુરક્ષા ને લઈ ગંભીર બેદરકારી સામે આવી છે. પર પ્રાંતની શંકાસ્પદ ફિશિંગ બોટો અને ખલાસીઓનું બેરોકટોક વેરાવળ બંદરમાં આવનજાવન વધી ગયું છે. સ્થાનીક તંત્ર અને અસામાજિક તત્વો પ્રોટેક્શન મની લઈ આવી બોટોને મદદ કરતા હોવાના ગંભીર આક્ષેપ સાથે માછીમાર સમુદાયે આવેદનપત્ર આપ્યું હતું. આતંકી પ્રવૃત્તિ માટે ગુજરાત સૌરાષ્ટ્રના સમુદ્ર તટ અને માછીમારી બોટનો દુરુપયોગ થયો હતો અને 26 / 11ના આતંકી હુમલાને અંજામ અપાયો હતો. જો કે આ ઘટના બાદ સમુદ્રી સુરક્ષાને સઘન બનાવાઈ છે. પરંતુ ગીર સોમનાથ ના વેરાવળ બંદર પર સુરક્ષાના મુદ્દે જવાબદાર તંત્ર ઘોર બેદરકારી દાખવવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે માછીમારો બોટ એશો. પ્રમુખ તુલસી ગોહેલની આગેવાનીમાં માછીમાર સમુદાયના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર, એસ.પી અને ફિશરીઝ વિભાગને રૂબરૂ લેખિત રજુઆત કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.