સચિન પીઠવા, સુરેન્દ્રનગર @મંતવ્ય ન્યૂઝ
સુરેન્દ્રનગરના રતનપરમાં બે આખલાના ઝઘડામાં એક આખલો પાણીની ટાંકીમાં પડ્યો હતો. જેને દોરડા વડે બાંધી જેસીબીથી બહાર કઢાયો હતો. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ગેરેજ સુપરિન્ટેન્ડન્ટ સહિતની ટીમ દ્વારા 2 કલાકની જહેમત બાદ આખલાને બહાર કઢાયો હતો.
દુધરેજ વઢવાણ નગરપાલિકાના ગેરેજ સુપરિન્ટેન્ડન્ટ સહિતની ટીમ દ્વારા 2 કલાકની જહેમત બાદ આખલાને બહાર કઢાયો
આજરોજ સવારના સમયે સુરેન્દ્રનગરના રતનપરના આદિત્ય પાર્કમાં બે આખલા વચ્ચે જોરદાર લડાઈ થઇ હતી. જેમાં લડતા લડતા એક આખલો પાણીની ટાંકીમાં પડી ગયો હતો. જે અંગેની બાતમી મળતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ગેરેજ સુપરિન્ટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલા, રાહુલ ડોડીયા, જય રાવલ, સંજય ચૌહાણ, વિજયરાજ રાઠોડ તેમજ જેસીબીના ડ્રાઇવર મહેશભાઈને લઈને ઘટના સ્થળે દોડી કઇ જેસીબી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી દોરડા વડે મહેનત કરી હતી. પરંતુ આખલો મોટો હતો એટલે સફળતા ના મળી.
થોડીવારમાં જ જેસીબી આવતા જેસીબી સાથે દોરડું બાંધીને અને એક છેડો આખલાના સિંગડે બાંધીને જેસીબી દ્વારા આખલાને બે કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. આ અંગે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ગેરેજ સુપરિન્ટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરમાં ગમે ત્યાં આવા અબોલ પ્રાણીઓ હેરાન ન થાય એ માટે અમોને તરત જ જાણ કરવી જેથી અમો આવીને પળવારમાં એ અબોલ જીવને બહાર કાઢી આપીશુ. આવું આજે ફરી જીવદયાનું એક કામ કર્યું. જેથી મને અને મારી ટીમને ખૂબ જ આનંદ છે.