આજથી લગભગ ૨૧ મહિના પહેલા ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવની પાકિસ્તાનમાં ધરપકડ થયા બાદ સોમવારે તેમની માતા અને પત્ની સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત થઇ છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા અનુમતિ આપ્યા બાદ આ મુલાકાત થઇ હતી. જાધવની સાથે મુલાકાત અડધા કલાક સુધી ચાલી હતી અને આ સમયે ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર જે પી સિંહ પણ હાજર રહ્યા હતા. પરંતુ પાકિસ્તાનની સરકારે જે પી સિંહની હાજરીને કાઉન્સિલર એક્સેસ ગણાવીને કહ્યું હતું કે, તેમણે કુલભુષણને રાજનયિક પહોંચ માટે મંજુરી આપી છે.
મહત્વનું છે કે, કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી અને અદાલત તેને મોતની સજા સંભળાવી ચુકી છે. જો કે, ત્યારબાદ ભારતે ઈન્ટરનેશનલ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો અને આંતરરાષ્ટ્રીય અદાલતે પોતાનો અંતિમ ચુકાદો સંભાળાવવા સુધી સજા પર રોક લગાવી હતી.