અમદાવાદ
સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતને રિલીઝ કરવા અંગે સમગ્ર રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ પ્રવર્તયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.અમદાવાદમાં મંગળવારે મોડી સાંજે ત્રણ જગ્યા થલતેજની એકરોપોલીસ મોલ, હિમાલયા મોલ અને ગુલમહોર મોલ પર તોફાની તત્વોએ તોડફોડ કરી હતી.
અમદાવાદના એસજી હાઇવે પર ગુંડાખોર એક પછી એક સ્થળનો નિશાન બનાવતા ગયા અને પોલીસ મુક બધીર બનીને તમાશો જોતી રહી. સમગ્ર ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે ૧૫૦૦થી વધુ લોકો સામે રમખાણોમાં ભાગીદાર થવાનો ગુનો નોંધ્યો છે. બુધવારે સવારે વસ્ત્રાપુર પોલિસે અનેક લોકોને રાઉન્ડ અપ કર્યા હતા. પોલિસે 3 વ્યક્તિઓ સામે ફરિયાદ પણ દાખલ કરી છે. પોલિસે એક્રોપોલિસ મોલ, હિમાલયા મોલના સીસીટીવી ફુટેજ મેળવીને તોફાનીઓને ઓળખવાની કવાયત શરૂ કરી છે.
આ તોડફોડ અને આગચંપીમાં 50થી વધુ બાઇક સળગાવી દેવામાં આવ્યા હતા, જ્યારે અનેક કારના કાચો તોડી નાંખવામાં આવ્યા હતા. તોફાની ટોળું એટલું બેકાબુ બન્યું હતું કે, સિનેમાઘરો તો જવા દો પરંતું મોલમાં આવેલી દુકાનો અને ઓફિસોને પણ તેમણે નહોતો છોડ્યા.
આ હિંસામાં મોલની અનેક દુકાનોના કાચ તોડ્યા હતા અને ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું હતું.ટોળાના આ આતંકના કારણે સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને નુકસાન ઉઠાવવું પડ્યું હતું. આલ્ફા વન મોલમાં ૧૦ હજારની નોકરી કરતી યુવતીનું એકટીવા ટોળાનો રોષનો ભોગ બન્યું હતું. પોતાના બચતના પૈસામાંથી ખરીદેલું એકટીવાને આમ સળગતું જોઈને યુવતી ચોધાર આંસુએ રડી પડી હતી. યુવતીએ કહ્યું હતું કે, પદ્માવત ફિલ્મને મારી લાઇફ સાથે શું લેવાદેવા છે. મારુ વાહન સળગાવીને તોફાની તત્વો શું સાબિત કરવા માંગે છે.
આ યુવતીની જેમ અનેક નિર્દોષ વેપારીઓ પણ તોફાનીઓ પર ગુસ્સો ઉતાર્યો હતો. હિમાલયા મોલમાં કમ્પ્યુટરના સાધનોની દુકાન ધરાવતા એક વેપારીએ કહ્યું કે, મારી કારના કાચ તોડી નાંખવામાં આવ્યા છે અને મારી દુકાનનું ફર્નિચર તોડ્યું છે. પદ્માવતનો વિરોધ આ રીતે કરવો કેટલો યોગ્ય છે? નિર્દોષ વેપારીઓએ તેમનું શું બગાડ્યું છે?
હિમાલયા મોલમાં પીઝા પાર્લરમાં ટોળાએ તોડફોડ કરીને જાણે તેની આકૃતિ જ બદલી દીધી હતી. આ ઉપરાંત પાર્કિંગમાં પડેલી ૩૫ જેટલા વાહનોને આગમાં ભસ્મીભૂત કરી દીધા હતા. હિમાલયા મોલ પર વધારે તોડફોડ થવાને લીધે પોલીસને બે રાઉન્ડ ફાયરીંગ કરવું પડ્યું હતું.