અનિડા,
25 ફુટ નીચે નદીમાં ખાબક્યા બાદ પલટી મારી જતા ટ્રક નીચે કચડાવાથી ૨૬થી વધુ જાનૈયાઓના મોત થયા હતા. આ ટ્રક ૬૦ જેટલા લોકો સવાર હતા.
ભાવનગરમાં લગ્ન કરવા જઈ રહેલા જાનૈયાઓને અકસ્માત નડતા 32 લોકો મોતને ભેટ્યા હતાં. ભાવનગર પાસેના બોટાદના રંઘોળા ગામ પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલ રંઘોળા નદીના બ્રિજ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે નાનું એવું ગામ અનિડા આક્રંદ પછેડી ઓઢી ગયું છે.
લગભગ દોઢસો થી પોણા બસ્સોની વસ્તી ધરાવતા આ ગામના લગભગ 17 વ્યક્તિ મંગળવારની ગોઝારી સવારનો ભોગ બન્યા.
પાલીતાણાના અનિડાથી નીકળેલી કોળી પરિવારના લગ્નની જાનમાં ગયેલા મહેમાનો પરત ઘેર પાછા ના ફર્યા. કોઈએ કંધોતર ગુમાવ્યો, તો કોઈએ ભરથાર, કોઈએ ઘરનું ગુજરાન ચલાવતો એક નો એક પુત્ર ગુમાવ્યો તો કોઈએ, ભવિષ્યની ટેકણ લાકડી સમા, બાળકોને ગુમાવ્યા.
સમગ્ર અનિડા હીબકે ચડ્યું ત્યારે, કોણ , સધિયારો કોને આપે ? કોણ લૂછે કોના આંસુ ? માત્ર અનિડા જ નહિ ,પણ આસ-પાસના ગામોમાં પણ ગમગીનીભર્યું વાતાવરણ છવાયું છે. ગામના રસ્તાઓ સુમસાન ભાસે છે. તો જીવનની સમીસાંજે ,કોઈ વૃધ્ધાની આંખોના જાણે આંસુ સુકાઈ પરવાર્યા છે. રડે તો કોની પાસે ? તેવી સ્થિતિ કાળમીંઢ પથ્થર જેવા માનવીને પણ મીણની જેમ ઓગાળવા પુરાતા હોય તેવા દૃશ્યો સર્જાયા છે.