રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી પહેલા કેન્દ્ર સરકારે લોકોને મોટી ભેટ આપી છે. સરકારે મોટુ એલાન કરતા રાખડી ને જીએસટીથી બહાર રાખી છે. આનો મતલબ એ છે કે સરકાર રાખડી પર જીએસટી નહિ લે. કેન્દ્રીય નાણાં મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે રક્ષાબંધન આવી રહી છે, અમે રાખડી પર જીએસટી છૂટ આપી છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થી પહેલા બધા પ્રકારની મૂર્તિઓ, હસ્તશિલ્પ, હેન્ડલૂમ ને પણ જીએસટીથી બહાર રાખી છે.
પિયુષ ગોયલે કહ્યું કે આ બધી વસ્તુઓ આપણો વારસો છે. અને આપણે સમ્માન સાથે સાચવવો જોઈએ. સરકારનું આ પગલું એટલા માટે ખાસ છે કારણ કે ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન પર લોકો ખુબ ખરીદી કરે છે. એટલા માટે તહેવારોની મોસમમાં આવી વસ્તુઓ પર જીએસટીથી છૂટ મળવી મોટી રાહત છે. સરકારના આ પગલાંથી રાખડીની ખરીદી માટે લોકોને વધારે બોજ નહિ પડે.
જણાવી દઈએ કે આ વર્ષે રક્ષાબંધન 26 ઓગસ્ટે છે. અને ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બરે છે. બહેનો એમના ભાઈઓને રાખડી બાંધવા માટે ખુબ તૈયારીઓ કરી રહી છે. બજારમાં પણ આ દિવસોમાં અલગ-અલગ પ્રકારની રાખડી જોવા મળી રહી છે.
આ પહેલા સરકારે સેનેટરી નેપકીનને પણ જીએસટી ફ્રી કરીને મહિલાઓ ને મોટી રાહત આપી હતી. પહેલા આ પ્રોડક્ટ પર 12 ટકા જીએસટી લાગતો હતો. મહિલાઓ માટે ઝવેરાત, હેર ડ્રાયર, પરફ્યુમ અને હેન્ડ બેગ પર પણ સરકારે રાહત આપી હતી. આ પ્રોડક્ટ પહેલા 28 ટકા જીએસટી સ્લેબમાં હતી, જે હવે 18 ટકા જીએસટી સ્લેબમાં છે.