નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષની પદની નિમણુંકને લઇ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ પદ માટે હવે સૌરવ ગાંગુલીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કેટલાક દિવસો પહેલા BCCIના નવા સંવિધાનને મંજુરી મળ્યા બાદ અધ્યક્ષ પદ માટે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સફળ કેપ્ટનમાંના એક સૌરવ ગાંગુલીનો રસ્તો સાફ જોવા મળી રહ્યો છે.
હકીકતમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા ગત દિવસોમાં આપવામાં આવેલા એક આદેશ મુજબ, BCCIમાં જમા બેઠેલા તમામ દિગ્ગજોનો આ પદ માટે આગળ આવવાનો રસ્તો બંધ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શરદ પવાર, એન શ્રીનિવાસન, અનુરાગ ઠાકુર, રાજીવ શુક્લા, અમિતાભ ચૌધરી, સી કે ખન્ના જેવા દિગ્ગજ નામોના બોર્ડના દરવાજા બંધ કરી દીધા છે.
છ વર્ષ બાદ કુલિંગ ઓફ પીરિયડ લેવાનો ફાયદો સૌરવ ગાંગુલીને થયો છે. કોર્ટના આદેશ બાદ જસ્ટિસ આર એમ લોઢાની કમિટીની આ ભલામણ લાગુ થઇ ગઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડના અધ્યક્ષ બનવા માટે બે એજીએમમાં શામેલ થવાની કોઈ જરૂરત નથી. ત્યારે હવે આ ભલામણ બાદ કોઈ પણ નવો ચહેરો વિના કોઈ અનુભવ વગર જ બોર્ડનું આ પદ સંભાળી શકે છે.
મહત્વનું છે કે, BCCIના પૂર્વ અધ્યક્ષ જગમોહન ડાલમિયાના નજીક રહેલા સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશન સાથે પોતાના ત્રીજા કાર્યકાળમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ગાંગુલી બીસીસીઆઈની ટેકનિકલ કમિટી, ક્રિકેટ સલાહકાર કમિટી અને IPLની ગવર્નિંગ કાઉન્સિલ સાથે પણ કામ કરી ચુક્યા છે.